લંડનઃ કોરોના મહામારી દરમિયાન વર્ક ફ્રોમ હોમમાં થયેલા વધારા પછી શહેરની ૭૪ ટકા કંપનીઓ અને તેમાં ખાસ કરીને બેંકો અને ઈન્સ્યુરન્સ કંપનીઓ ખરેખર તેમને કેટલી ઓફિસ સ્પેસની જરૂર પડશે તેની સમીક્ષા કરી રહી હોવાનું સીબીઆઈ ફાઈનાન્સિયલ સર્વિસીસના તાજેતરના સર્વેમાં જણાયું હતું. સર્વેમાં ભાગ લેનારી ૧૩૩ ફાઈનાન્સિયલ સર્વિસીસ કંપનીઓ પૈકી ૮૮ ટકાએ જણાવ્યું હતું કે કોવિડને લીધે રિમોટ વર્કિંગ પ્રત્યે ઝોક વધ્યો છે. ૫૦ ટકા કંપનીઓએ જણાવ્યું કે તેમના ૯૦ ટકાથી વધુ કર્મચારીઓ ઓફિસમાં હાજર રહ્યા વિના તેમનું કામ સરળતાથી કરી શકે છે.
લોયડ્ઝ બેંકિંગ ગ્રૂપ, બાર્ક્લેસ અને મેટ્રો બેંકના આવશ્યક ગણાતા બ્રાન્ચ સ્ટાફે સમગ્ર કટોકટી દરમિયાન ઓફિસે જવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ, મોટા ભાગના બેંક કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમમાં જોડાયા હતા. સપ્ટેમ્બરના પ્રથમ ત્રણ સપ્તાહમાં કરાયેલા સર્વેમાં જણાયું હતું કે ૭૧ ટકા કંપનીઓ તેની રિમોટ વર્કિંગ સિસ્ટમને મદદ થાય તે માટે આઈટી સિસ્ટમ્સમાં ઈન્વેસ્ટમેન્ટ કરી રહી છે.
જોકે, સર્વેમાં એમ પણ જણાયું હતું કે કોવિડ – ૧૯ અને બ્રેક્ઝિટની અનિશ્ચિતતા વચ્ચે શહેરની કંપનીઓ નોકરીઓમાં અને નોન-આઈટી ઈન્વેસ્ટમેન્ટમાં કાપ મૂકવા વિચારી રહી છે. કંપનીઓ હવે કર્મચારીઓને સમાવવાના નવા અને ઓછા ખર્ચાળ ઉપાયો અજમાવી રહી છે.
FTSE 100 માં સ્થાન મેળવનારી શ્રોડર્સ જેવી ફંડ મેનેજર કંપનીએ આ મહામારીનો અંત આવી જાય તે પછી પણ સ્ટાફને ઓફિસે ફૂલ ટાઈમ આવવાની જરૂર ન હોવાનું જણાવ્યું હતું.
પરંતુ, જેપી મોર્ગન જેવી કેટલીક મોટી બેંકોએ યુવા સ્ટાફ માટે મેન્ટરશીપનો અભાવ અને સોમવાર તથા શુક્રવારે ઉત્પાદકતામાં થોડા ઘટાડા સહિત હોમ વર્કિંગની અસરો વિશે ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, તેના ૨૫૭,૦૦૦ કર્મચારીઓ પૈકી ૩૦ ટકા કર્મચારીઓ ભવિષ્યમાં થોડાક સમય માટે પણ દૂરના સ્થળેથી કામ કરશે તેવી અપેક્ષા વોલ સ્ટ્રીટે વ્યક્ત કરી હતી.