લંડનઃ હજુ લોકડાઉન નિયંત્રણો ૧૯ જુલાઈ સુધી યથાવત રહેવાના છે ત્યારે બ્રિટિશરોને આ પછી પણ ઘરમાં રહીને કામ કરવાનું જણાવાશે. જોકે, મિનિસ્ટર્સ આ બાબતે ચોક્કસ સૂચના કે આદેશ જાહેર નહિ કરે પરંતુ, આ બાબતનો નિર્ણય બિઝનેસીસ કે કોર્પોરેટ્સના હાથમાં રહેવા દેવાશે. વર્તમાન ગાઈડલાઈન્સ લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહીને કાર્ય કરવા જણાવે છે. બોરિસ જ્હોન્સને લોકડાઉનના અંત પછી સ્ટાફ- વર્કર્સને ઘરમાં રહી કામ કરવાનો કાનૂની અધિકાર આપવાનું નકારી કાઢ્યું છે. વડા પ્રધાન કર્મચારીઓ મોટા પાયે ઓફિસમાં પરત ફરે તેમ ઈચ્છે છે કારણકે તેમના મતે ‘સાથે રહી કામ કરવાના અપાર ફાયદા છે.
આગામી મહિને લોકડાઉનના નિયંત્રણો ઉઠાવી લેવાના આખરી તબક્કાનો આરંભ કરાશે ત્યારે વર્કર્સે હવે ઓફિસે જવું જોઈએ તેવી સૂચના મિનિસ્ટર્સ દ્વારા આપવામાં નહિ આવે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું છે. ગત ઉનાળામાં સરકારે લીધેલા નિર્ણયથી આ વિપરીત રણનીતિ છે. ગત જુલાઈમાં અર્થતંત્રને વેગ મળે માટે શાંત સિટી સેન્ટર્સ મહામારી અગાઉના સ્તરે ફરી ધમધમતા થાય તેમ જ્હોન્સન ઈચ્છતા હોવાના આક્ષેપો લગાવાયા હતા. હવે, જ્હોન્સન સાવચેતીથી આગળ વધવા માગે છે અને સરકાર કંપનીઓને તેમજ વર્કર્સને આ બાબતે નિર્ણય લેવાની છૂટ આપશે.
જોકે, આના પરિણામે સ્ટાફમાં ગુંચવાડો અને અરાજકતા સર્જાઈ શકે છે. કંપની અને વર્ક્સ વચ્ચે કોનું ધાર્યું થશે તે મુદ્દે હુંસાતુસી થઈ શકે છે. કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઈન્ડસ્ટ્રી (CBI)એ જણાવ્યું છે કે કામ ક્યાં થવું જોઈએતેનો અંકુશ બિઝનેસીસ પાસે જ હોવો જોઈએ અને કંપનીઓ આ બાબતે વર્કર્સ સાથે વાતચીત કરશે પરંતુ, આ તેના માથે હોવું ન જોઈએ. બીજી તરફ, ટ્રેડ યુનિયન્સ ઘરથી કામ કરવા તેમજ કામકાજ શરુ કરવાના અને પૂરા કરવા સહિતની ફ્લેક્સિબલ વર્કિંગ કંડિશન્સનો અધિકાર કર્મચારીઓને મળવો જોઈએ તેમ જણાવે છે. દરમિયાન, ડાઉનિંગ સ્ટ્રીટે એમ જણાવ્યું છે કે વર્ક ફ્રોમ હોમની ગાઈડલાઈન્સને બદલવા કોઈ નિર્ણય લેવાયો નથી અને ઘર રહીને કામ કરવાનો નવો કાનૂની અધિકાર નહિ હોય.
વ્હાઈટહોલના કેટલાક કર્મચારીઓ પણ મહામારી અગાઉ કામ કરતા હતા તેનાથી ગણનાપાત્ર ઓછો સમય ઓફિસમાં વીતાવશે. એક મહત્ત્વના ડિપાર્ટમેન્ટે તેના સ્ટાફને ૧૯ જુલાઈ પછી માત્ર ૬૦ ટકા સમય જ ઓફિસમાં વીતાવી શકશે તેમ જણાવ્યું છે. રેવન્યુ અને કસ્ટમ્સ વિભાગના લગભગ ૬૪,૦૦૦ કર્મચારીને આગામી મહિનાથી સપ્તાહમાં ઓછામાં ઓછા બે દિવસ ઘરમાં રહીને જ કામ કરવાનું થશે.