ઈમિગ્રેશનમાં કાપ મૂકવાથી આર્થિક વિકાસને ફટકો પડશે તે વાત હવે તમામ ઉદ્યોગોએ સ્વીકારી લીધી છે. ટોરી સરકાર ઈમિગ્રન્ટ્સને આવકાર નથી મળતો તેવો અનુભવ કરાવે છે. ખાસ કરીને ઈનોવેશન અને સંપત્તિ ઉભી કરવાની બાબતે સ્કીલ્ડ માઈગ્રન્ટ્સના મહત્ત્વના યોગદાન સહિત તેમનાથી મળેલા લાંબા ગાળાના લાભોની તેમણે અવગણના કરી છે. હકીકતે, બ્રિટનમાં જન્મેલા લોકો કરતાં યુકે ઈમિગ્રન્ટ્સ તેમનો પોતાનો બિઝનેસ શરૂ કરે તેની શક્યતા બમણી હોય છે.
હાલ ઈમિગ્રેશનના ઘણાં પ્રશ્રો છે. યુકેની યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પછી વર્ક વિઝાને ફરી દાખલ કરવા તેમજ તેમનો નેટ માઈગ્રેશનની સંખ્યામાં સમાવેશ ન થાય તે સુનિશ્ચિત કરવા અનુરોધ કરી રહી છે.
બીજી બાજુ ઘણાં હાઈસ્કીલ્ડ માઈગ્રન્ટ્સના વિઝા નકારી દેવામાં આવતા તેમના જીવન અને કારકિર્દીનું ભાવિ અંધકારમય બની ગયું છે. આાવા કિસ્સાઓમાં વિન્ડરશ કૌભાંડ કરતાં ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે. કારણ કે તેમાં દેશમાં ‘રાઈટ ટુ અપીલ’ નથી. ન્યાય મળવાની પ્રતીક્ષામાં લોકો મૃત્યુ પામ્યા છે, ભૂખે મરી રહ્યા છે, જંગી આર્થિક દેવામાં ડૂબી ગયા છે, સ્ટ્રીટ પર રહે છે. તેથી ‘વિધીન કન્ટ્રી અપીલ’ને પાછી લાવવા અને હાઈલી સ્કીલ્ડ માઈગ્રન્ટ્સના ઈન્ડેફિનીટ લીવ ટુ રિમેઈન વિઝા નકારી દેવાયા બાદ હોમ ઓફિસના નિર્ણયની પ્રતીક્ષા કરી રહેલા ગ્રૂપે હવે પિટિશન શરૂ કરી છે.
ગાર્ડિયનના અહેવાલમાં જણાવાયું હતું કે આશ્રય માગનારા અને અન્ય માઈગ્રન્ટ્સને યુકેમાં રહેવા દેવાના ચુકાદાની સામે હોમ ઓફિસ દ્વારા કરાયેલી ફાઈનલ ઈમિગ્રેશન કોર્ટ અપીલોમાંથી પોણા ભાગની રદ કરી દેવાઈ છે. એપ્રિલ ૨૦૧૭થી માર્ચ ૨૦૧૮માં કોર્ટમાં ૧૧,૯૭૪ કેસોનો નિકાલ કરાયો હતો જેમાં હોમ ઓફિસ દ્વારા લેવાયેલા ૪,૩૩૨ નિર્ણયો રદ કરાયા હતા. લીવ ટુ રિમેઈનની મંજૂરી આપતા ચૂકાદાઓ પૈકી ૧,૨૩૫ની સામે હોમ ઓફિસ દ્વારા વધુ અપીલ માટે અપર ટ્રિબ્યુનલમાં દાખલ કરાયા હતા. ઈન્ડિપેન્ડન્ટ જજ દ્વારા તેમાંથી ૯૦૦ (૭૩ ટકા)ને રદ કરાયા હતા. માટે
હાઈલી સ્કીલ્ડ માઈગ્રન્ટ્સ ગ્રૂપના અદિતી ભારદ્વાજે ગુજરાત સમાચાર/એશિયન વોઈસને જણાવ્યું હતું, ‘યુકેમાં રાઈટ ટુ સ્ટેનો અધિકાર આપવાના ઈન્કારથી અન્યાય થયો હોય તેમ જેઓ માને છે તેમના માટે અપીલ એન્ડ વર્ક રાઈટ્સ પાછા લાવવા અમે પિટિશન કરીએ છીએ, જેથી તેઓ અહીંની કોર્ટમાં કેસ કરી શકે.’ ૨૦૧૪ના ઈમિગ્રેશન કાયદાથી યુકેમાં રહેવાનો અધિકાર ગુમાવી દેનારા લોકોને અપીલ કરવા પર નિયંત્રણ મૂકાયું હતું. તેમનો રાઈટ ટુ વર્ક પણ મર્યાદિત અથવા રદ કરી દેવાયો હતો.
યુકેની યુનિવર્સિટીઓ દ્વારા તાજેતરમાં યુકે તરફ વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે પોસ્ટ - સ્ટડી વર્ક વિઝા ફરી અમલી બનાવવા સરકારને અનુરોધ કરાયો હતો. જોકે, માઈગ્રેશન એડવાઈઝરી કમિટીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા મૂકવાની સરકારની કોઈ યોજના નથી.
જે લોકોને ઈન્ડેફિનિટ લીવ રિમેઈનનો ઈન્કાર કરાયો છે તેવા ઈમિગ્રન્ટ્સને મૂળભૂત અધિકારો અને ન્યાય મળી શકે તે માટે લોકોને પિટિશન પર સહી કરવા હાઈલી સ્કીલ્ડ માઈગ્રન્ટ્સ ગ્રૂપે અનુરોધ કર્યેો હતો. સહી કરવા વેબસાઈટ જુઓ