લંડનઃ સ્ટાર્મર સરકારની ઇમિગ્રેશન પ્રત્યેની આકરી નીતિના કારણે કેર હોમ્સમાં સ્ટાફની તીવ્ર અછત સર્જાશે. આ નિવારવા માટે ચાન્સેલર રેચલ રીવ્ઝે કેર વર્કર્સના વેતન માટે બિલિયનો પાઉન્ડની ફાળવણી કરવી પડશે. ગયા મહિને હોમ ઓફિસ દ્વારા જારી કરાયેલા ઇમિગ્રેશન વ્હાઇટ પેપરમાં કેર વર્કર વિઝા નાબૂદ કરવાની જોગવાઇ કરાઇ હતી.
સ્વતંત્ર માઇગ્રેશન એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ પ્રોફેસર બ્રાયન બેલે જણાવ્યું છે કે કેર સેક્ટરમાં બ્રિટિશ વર્કરોને આકર્ષવા અને સ્ટાફનો પગાર વધુ ચૂકવવા માટે રીવ્ઝે મોટાપાયે આર્થિક સહાય આપવી પડશે. જો કેર વર્કરના પગારમાં પ્રતિ કલાક 1 પાઉન્ડનો પણ વધારો કરાય તો પ્રતિ વર્ષ 1 બિલિયન પાઉન્ડનો બોજો પડશે. ચાન્સેલરે સોશિયલ કેર સેક્ટરને વધુ નાણા ફાળવવા જોઇએ.
બેલે જણાવ્યું હતું કે સરકારે કેર હોમ્સને યુકેમાં હાજર છે તેવા વિદેશી કેર વર્કર્સની નિયુક્તિ કરવાની પરવાનગી આપી છે પરંતુ આ કામદારો પણ એક કે બે વર્ષમાં ઘટીને શૂન્ય થઇ જશે. સરકારે કેર વર્કર્સની સંખ્યા વધારવા માટે મોટી બાંધછોડ કરવી પડશે.