લંડનઃ દેશનું સોશિયલ કેર સેક્ટર ધરાશાયી થવાના આરે પહોંચી ગયું છે ત્યારે સરકાર તેમાં સુધારાનો પ્રારંભ વર્ષ 2028થી શરૂ કરે તેની રાહ જોઇ શકાય તેમ નથી. કેર ઇંગ્લેન્ડ અને એચએફટી સેક્ટર પલ્સ ચેક રિપોર્ટમાં વર્ષ 2025માં એડલ્ટ કેર સેક્ટર માટે મલ્ટી યર ફંડિંગ સેટલમેન્ટની અપીલ કરાઇ છે. રિપોર્ટમાં વર્કફોર્સને સપોર્ટ કરવા માટે સંપુર્ણ યોજના અને કેર સેક્ટરમાં કામ કરતા લોકોને એનએચએસના કર્મચારીઓની તર્જ પર વેતન આપવાની પણ ભલામણ કરાઇ છે.
એચએફટીના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીવ વીવર્સે જણાવ્યું હતું કે, એડલ્ટ કેર સેક્ટર સામે રહેલા પડકારોને સરકારે સ્વીકાર્યાં છે તે આવકારદાયક બાબત છે. અમે બેરોનેસ કેસી કમિશન સાથે પણ કામ કરવા ઇચ્છીએ છીએ પરંતુ સેક્ટરની સમસ્યાઓના ઉકેલની લાંબી પ્રક્રિયા પોષાય તેમ નથી.
રિપોર્ટમાં એમ્પ્લોયર નેશનલ ઇન્શ્યુરન્સ યોગદાનમાં કરાયેલા વધારા માટે સેક્ટરને સંપુર્ણ સહાય આપવા અથવા તો તેમાંથી સંપુર્ણ મુક્તિ આપવાની માગ કરી છે. તે ઉપરાંત વિદેશી સોશિયલ કેર વર્કર્સના આશ્રિતોને યુકેમાં લાવવા પર મૂકાયેલા પ્રતિબંધને દૂર કરવાની પણ માગ કરાઇ છે.
રિસર્ચ અનુસાર 90 ટકા કેર પ્રોવાઇડર્સે કર્મચારીઓ પાછળ થતા ખર્ચમાં વધારાને મુખ્ય સમસ્યા ગણાવ્યો છે. નેશનલ લિવિંગ વેજમાં વધારો તેમની મુખ્ય સમસ્યા છે.


