લંડનઃ ઓવરસીઝ એઈડ બજેટને પુનઃસ્થાપિત કરવાના સુધારા મુદ્દે સરકારનો બેકબેન્ચ બળવામાંથી બચાવ થયો છે. હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સર લિન્ડસે હોયલે સુધારાને અવકાશ ન હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારે ગયા વર્ષે વિદેશી સહાયમાં એક તૃતીઆંશ જેટલો કાપ મૂક્યો હતો.
પૂર્વ વડા પ્રધાન થેરેસા મે સહિત ૩૦થી વધુ કન્ઝર્વેટિવ બેકબેન્ચર્સે પૂર્વ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી એન્ડ્રયુ મિચેલ દ્વારા એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ ઈનોવેશન એજન્સી બિલમાં સુધારાને ટેકો આપવાની જાહેરાત કરી હતી. જો સ્પીકરે સુધારાને દાખલ કર્યો હોત અને પાર્લામેન્ટ દ્વારા બહાલી અપાઈ હોત તો સરકારને ૨૦૨૨થી વિદેશી સહાયખર્ચને GDPના ૦.૭ ટકા લેખે પુનઃસ્થાપિત કરવાની અને ટ્રેઝરી દ્વારા ૪ બિલિયન પાઉન્ડના કાપને સરભર કરવાની ફરજ પડી હોત.
સ્પીકર સર લિન્ડસે હોયલે સાંસદોને જણાવ્યું હતું કે ઓફિસર ઓફ સ્પીકર્સ કાઉન્સિલના મત અનુસાર આ સુધારો વર્તમાન બિલના દાયરામાં આવતો નથી. જોકે, તેમણે કોમન્સમાં આ મુદ્દાની ચર્ચા થવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું.
ટોરી પાર્ટીના ૨૦૧૯ના ચૂંટણી મેનિફેસ્ટોમાં વિદેશી સહાય ખર્ચ GDPના ૦.૭ ટકા લેખે જાળવી રાખવાનું વચન અપાયું હોવાં છતાં, સરકારે નવેમ્બર ૨૦૨૦માં આ ખર્ચમાં કાપ મૂકી ૦.૫ ટકા કરવા જણાવ્યું હતુ. આમ, ૨૦૨૦નું વિદેશી સહાય બજેટ ૧૪.૫ બિલિયન પાઉન્ડથી ઘટાડી ૨૦૨૧માં ૧૦ બિલિયન પાઉન્ડ કરવામાં આવ્યું હતું. ચાન્સેલર રિશિ સુનાકે સહાયમાં કાપને મહામારીની અભૂતપૂર્વ આર્થિક અસરના લીધે વાજબી ઠરાવતા કહ્યું હતું કે નાણાકીય સ્થિતિ સુધરવા સાથે યુકે ૦.૭ ટકાના ખર્ચ પર પુનઃ આવી જશે.