લંડનઃ કોરોના વાઈરસ મહામારીના કારણે સ્વદેશ પરત થઈ ન શક્યા હોય અને ફરજિયાત યુકેમાં રોકાણ કરવું પડ્યું હોય તેવા વિદેશી લોકોના વિઝાની મુદત ૩૧ જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. જેમના વિઝાની મુદત ૨૪ જાન્યુઆરી પછી પૂર્ણ થઈ હોય તેમને આ લાગુ પડશે તેવી જાહેરાત હોમ ઓફિસ દ્વારા કરવામાં આવી છે.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે,‘લોકોના વિઝાને હજુ લંબાવીને અમે તેમને મનની શાંતિ આપી રહ્યા છીએ કે તેઓ પોતાના દેશમાં સલામતી સાથે પહોંચી શકે તેમ ન હોય તેવી સ્થિતિમાં તેઓ જુલાઈના અંત સુધી યુકેમાં રહી શકે છે. આ કપરા સમયમાં લોકોને ટેકો આપવા સરકાર દ્વારા લેવાયેલાં અનેક અભૂતપૂર્વ પગલાંઓમાં એક છે. જેમના વિઝિટર વિઝા સમાપ્ત થઈ ગયા હોય તેમણે ફ્લાઈટ્સ અને સરહદી નિયંત્રણો ઉઠાવી લેવાયા પછી શક્ય બને તેમ પોતાના દેશ પાછા ફરવું જોઈએ.’ વિઝા મુદતનો આ વધારો ૩૧ જુલાઈ સુધીનો છે અને જેમના વિઝાની મુદત ૨૪ જાન્યુઆરી પછી સમાપ્ત થઈ હશે તેને લાગુ પડશે. સંજોગો જેમના નિયંત્રણ હેઠળ ન હોય તેમને તકલીફ સહન ન કરવી પડે તેની ચોકસાઈ માટે આ મુદત વધારવામાં આવી છે. અગાઉ ૩૧ મે સુધી વિઝાની મુદત લંબાવાઈ હતી.
હોમ ઓફિસે જણાવ્યું હતું કે કોરોનાનાઈરસ ઈમિગ્રેશન સમર્પિત ટીમ પ્રોસેસ સરળ બની રહે તે માટે લોકો સાથે કામ કરી રહી છે. કોઈ પણ આવી સ્થિતિમાં હોય અને જેમણે આ ટીમનો સંપર્ક હજુ કર્યો ન હોય તેમણે ઓનલાઈન ફોર્મ દ્વારા ટીમનો સંપર્ક કરી તેમના વિઝા સમાપ્ત થયાની જાણ કરવાની જરુર છે જેથી તેમને વિઝા એક્સટેન્શન આપી શકાય. લાંબો સમય યુકેમાં રહેવાના વિઝાની અરજી કરવા માગતા લોકોની મદદ માટે પણ હોમ ઓફિસે દેશમાં જ રહી અરજીની જોગવાઈઓ ૩૧ જુલાઈ સુધી લંબાવી છે. UKVI તેમની અરજીઓ વેળાસર પ્રોસેસ કરશે.