લંડનઃ અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાને વડાપ્રધાન કેર સ્ટાર્મરે ‘અત્યંત વિનાશક’ ગણાવતાં દુઃખની લાગણી વ્યક્ત કરી છે. વિમાનમાં પ્રવાસ કરતાં 242 પ્રવાસીઓમાંથી 53 બ્રિટિશ નાગરિકો હતા. વડા પ્રધાન સ્ટાર્મરે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘ઘણા બ્રિટિશ નાગરિકોને લઈને લંડન લઇને આવી રહેલું વિમાન અમદાવાદમાં ક્રેશ થયું છે. અકસ્માતના દ્રશ્યો ભયાનક છે. મને આ ઘટનાને સંબંધિત તમામ માહિતી આપવામાં આવી રહી છે. પ્રવાસીઓ અને તેમના પરિવારજનો સાથે મારી સંવેદના છે.’
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરતા કહ્યું હતુંઃ અમદાવાદમાં બનેલી હૃદયદ્રાવક દુર્ઘટનાથી આઘાત અને દુઃખની લાગણી અનુભવી છે, જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. દુઃખની ક્ષણે, મારી સંવેદના તેનાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે. હું પ્રધાનો અને અધિકારીઓના સંપર્કમાં છું, જેઓ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે.