વિવાદાસ્પદ સ્મારકો-પૂતળાં નહિ હટાવવા સરકારનો સંકેત

Wednesday 17th June 2020 02:23 EDT
 

લંડનઃ યુકેમાં રંગભેદ વિરોધનો વંટોળ ફૂંકાયો છે ત્યારે સરકારે સંકેત આપ્યો છે કે કોઈ વિવાદાસ્પદ સ્મારકો કે પ્રતિમા-પૂતળાંને તેમના સ્થાનેથી હટાવાશે નહિ. હજારો લોકોએ ગુલામી અને રંગભેદ સાથે સંકળાયેલા ઐતિહાસિક વ્યક્તિત્વોના પૂતળાં સામે ભારે વિરોધ કર્યાના સપ્તાહ પછી કલ્ચરલ સેક્રેટરી ઓલિવર ડાઉડેને સાંસદો, ઉમરાવો અને કાઉન્સિલરોને પત્ર પાઠવી સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે.

ત્રણ પાનાના પત્રમાં ડાઉડેને જણાવ્યું છે કે વારસાનો ઉપયોગ ‘ઈતિહાસ પર બ્રશ ફેરવી દેવા’ના બદલે લોકોને બ્રિટનના નૈતિક રીતે સંકુલ ભૂતકાળના તમામ - સારાં કે ખરાબ પાસાઓથી શિક્ષિત કરવા માટે થવો જોઈએ. તેમણે લખ્યું છે કે ઘણા સ્મારકો લિસ્ટેડ છે અને અર્ધન્યાયિક પ્રક્રિયા થકી પ્લાનિંગ પરમિશન વિના દૂર કરી શકાય નહિ. શેરીઓના નામ પણ જે તે શેરીઓના બે તૃતીઆંશ નિવાસીઓની સત્તાવાર સંમતિ વિના બદલી શકાય નહિ. તેમણે લખ્યું છે કે,‘ આપણી લોકશાહીમાં જો કોઈ અર્બન લેન્ડસ્કેપ બદલવા ઈચ્છતા હોય તો તે લોકશાહી પ્રક્રિયા અનુસાર જ થવું જોઈએ.’

હિસ્ટોરિક ઈંગ્લેન્ડનો પણ સરકારને સંપૂર્ણ ટેકો છે. સંસ્થાએ જણાવ્યું હતું કે તે ‘વિવાદિત વારસા’ને દૂર કરવાનો વિરોધ કરે છે. તેમણે આવા કેટલાક પૂતળાંને રક્ષણ માટે કામચલાઉ ઢાંકી દીધાં છે.

પૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના પૌત્ર અને પૂર્વ ટોરી મિનિસ્ટર નિકોલસ સોમ્સ અને તેમની બહેન એમ્મા સોમ્સે તેમના દાદાની પ્રતિમા સાથે કરાયેલી છેડછાડ અને ‘રેસિસ્ટ’ જેવાં ચિતરામણ અંગે નારાજગી દર્શાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter