લંડનઃ કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે યુકેના અધિકારીઓ જણાવે છે કે કોરોના વાઈરસનું વેક્સિન વિકસાવી ન લેવાય ત્યાં સુધી લોકોએ કેટલાક નિયમનો સાથે રહેવાનું શીખી લેવું પડશે. આશરે ૧૮ મહિના સુધીમાં વાઈરસ વેક્સિન મળતી થશે ત્યાં સુધી આવું જીવન જ સામાન્ય રહેશે. એક નિષ્ણાતના જણાવ્યા અનુસાર વાઈરસ માટેની રસી સપ્ટેમ્બર સુધી તૈયાર કરી લેવાશે અને તેમાં સફળતાની તક ૮૦ ટકા જેટલી રહેલી છે.
જો તમને કોરોનાના લક્ષમો જણાય તો ઘરમાં રહીને કામ કરવું તેમજ સાત દિવસ એકાંતવાસમાં રહેવું તેવી સલાહ આગામી વર્ષે પણ જોવા મળે તો નવાઈ નથી. મિનિસ્ટર્સ તો આગામી સપ્તાહોમાં શાળા અને દૂકાનો બંધ રાખવા સહિત લોકડાઉનની સૌથી વધુ નિયંત્રણકારી બાબતો ઉઠાવી લેવા માગે છે. સંપૂર્ણ લોકડાઉન ઉઠાવી લેવું ઘણું વહેલું ગણાશે. વરિષ્ઠ સૂત્રો જણાવે છે કે માત્ર વેક્સિન અથવા ઉપચાર જ ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ છે એચલે ત્યાં સુધી બ્રિટિશરોએ નવી નોર્મલ લાઈફ સ્વીકારી લેવી પડશે. સરકારી નિષ્ણાતોએ કહ્યું હતું કે યુકેમાં રખાયેલા સોશિયલ ડિસ્ટન્સિંગ પગલાં ‘અચોક્કસ મુદત’ સુધી રહી શકે છે. જોકે, બ્રિટિશરો કેટલો સમય તેનું પાલન કરતા રહેશે તે પણ સવાલ છે. બીજી તરફ, લોકડાઉનની આર્તિક અસરોથી પણ મોત નીપજી શકે તેમ હેલ્થ સેક્રેટરી હેનકોકે સ્વીકાર્યું છે.