લંડનઃ ઈંગ્લેન્ડના શેફિલ્ડમાં ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના વેડસ્લે પેરિશ ચર્ચના હોલમાં યોગ ક્લાસીસ ચલાવવા પર કથિત પ્રતિબંધથી હિન્દુઓ વ્યથિત થયા છે. હિન્દુ રાજનેતા રાજન ઝેડે વેડસ્લે ચર્ચના વિકાર ડાન બ્રાઉન અને શેફિલ્ડ પ્રદેશના બિશપ પીટ વિલકોક્સને નિર્ણયની ફેરવિચારણા કરવા વિનંતી કરી છે. બીજી તરફ, ચર્ચે તમામ લોકો ત્યાં આવકાર્ય હોવાનું જણાવ્યું છે.
યુએસના નેવાડાથી એક નિવેદનમાં યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઈઝમના પ્રમુખ અગ્રણી રાજન ઝેડે આ વિસ્તારની કોમ્યુનિટીઓને યોગના અનેક લાભથી વંચિત ન રાખવા ચર્ચને વિનંતી કરી છે. તેમણે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ અન્યો માટે પ્રેમની અને અન્ય ધર્મો સાથે રચનાત્મક સંપર્કોની વાતો કરે છે ત્યારે વેડસ્લે ચર્ચના હોલમાં યોગ ક્લાસીસની છૂટ આપવા બાબતે હસ્તક્ષેપ કરવા કેન્ટરબરીના આર્કબિશપ જસ્ટિન વેલ્બીને અનુરોધ કર્યો હતો. તેમણે યુકેના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સન અને શેફિલ્ડના મેયર ટોની ડાઉનિંગને સરકારી ભંડોળ મેળવતું ચર્ચ યોગની અતિ પ્રાચીન અને લાભકારી પદ્ધતિના ક્લાસીસ કેવી રીતે બંધ કરાવી શકે તે મુદ્દે ધ્યાન આપવા જણાવ્યું હતું.
હિન્દુ નેતાએ જણાવ્યું હતું કે યોગના લાભો માટે જાગૃતિ કેળવવા યુએન દ્વારા ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિન જાહેર કરાયો છે ત્યારે ૨૧મી સદીના બહુસાંસ્કૃતિક ઈંગ્લેન્ડના ઘણા લોકો આ પ્રતિબંધથી ભારે નિરાશ થયા છે. ઈસુના ૨૦૦૦ વર્ષ અગાઉની સિંધુ સભ્યતામાં મૂળ ધરાવતા યોગને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે લાભકારી પદ્ધતિ ગણાવાય છે. તાલીમબદ્ધ યોગ શિક્ષક અને રજિસ્ટર્ડ નર્સ સારાહ વિલ્સન ઘણા વર્ષોથી ચર્ચના હોલમાં યોગ શીખવે છે તેમને ધાર્મિક કારણોસર ક્લાસીસ ચલાવતાં અટકાવાયાં હતાં.