લંડનઃ વ્યથિત હિંદુઓએ વુડફર્ડ (નોર્ધમ્પટનશાયર, ઈંગ્લેન્ડ) સ્થિત થ્રી હિલ્સ બ્રૂઈંગને વેદ (વેદા) બીયરને અયોગ્ય ગણાવીને તેને માર્કેટમાંથી પાછો ખેંચી હિંદુઓની માફી માગવા અનુરોધ કર્યો હતો. હિંદુ રાજનેતા રાજન ઝેડે નેવાડા (અમેરિકા)માં એક નિવેદનમાં જણાવ્યું હતું કે હિંદુ ધર્મગ્રંથો અથવા દેવી-દેવતાઓ અથવા પ્રતીકોનો ઉપયોગ કોમર્શિયલ અથવા અન્ય હેતુસર થાય તે યોગ્ય નથી કારણ કે તેનાથી હિંદુઓની લાગણી દુભાય છે.
યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રેસિડેન્ટ રાજન ઝેડે જણાવ્યું હતું કે વિશ્વના સૌથી પ્રાચીન અને જાણીતા ઋગ્વેદ સહિતના વેદો હિંદુ ધર્મનો પાયો છે. બીયર વેચવા માટે વેદોનો ઉપયોગ કરવો ખૂબ અસંવેદનશીલ છે. હિંદુ ધર્મ સૌથી પ્રાચીન ધર્મો પૈકીનો એક ધર્મ છે અને વિશ્વભરમાં તેના ૧.૧ બિલિયન જેટલા અનુયાયી છે. હિંદુ ધર્મમાં તત્ત્વચિંતનના સમૃદ્ધ વિચારો છે. તેને નજરઅંદાજ કરી શકાય નહિ. નાના અથવા મોટા કોઈ પણ ધર્મના પ્રતીકોનો દુરુપયોગ કરી શકાય નહિ.
ઝેડે ઉમેર્યું હતું કે આ પ્રકારે હિંદુ દેવી દેવતાનું મહત્ત્વ ઓછું થતા હિંદુઓની લાગણી દુભાય છે. હિંદુઓ કલાત્મક અભિવ્યક્તિ અને વક્તવ્યમાં અન્ય જેટલાં જ મુક્ત છે. પરંતુ, ધર્મ પવિત્ર છે અને તેનું મહત્ત્વ ઓછું કરવાના પ્રયાસોથી હિંદુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે.
થ્રી હિલ્સ બ્રૂઈંગનો ઉદ્દેશ પરંપરાગત બીયર નહિપરંતુ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત બીયર બનાવવાનો છે. લંડન, નોટિંગહાન નોર્ધમ્પ્ટન વગેરે શહેરોમાં આવેલા તેના સ્ટોકિસ્ટ્સમાં શોપ્સ, ઓનલાઈન, પબ્સ-બાર્સ અને રેસ્ટોરાંનો સમાવેશ થાય છે.