લંડનઃ ભારત તથા યુકે વચ્ચે થયેલા દ્વિપક્ષી વેપાર કરારને પગલે ભારતના ટેકસટાઈલ્સ, લેધર, જેમ્સ એેન્ડ જ્વેલરી તથા ફૂટવેર જેવા ક્ષેત્રોને લાભ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત સેવા ક્ષેત્રમાં શિક્ષણ, આઈટી અને ફાઈનાન્સને પણ લાભ થવાની ધારણાં છે.
મુકત વેપાર કરારને કારણે એપરલ, ટેકસટાઈલ તથા લેધર જેવા શ્રમ લક્ષી ઉત્પાદનોની યુકેમાં નિકાસમાં ભારત હવે બંગલાદેશ તથા વિયેતનામ જેવા દેશોની આવા પ્રોડકટસની નિકાસ સામે સ્પર્ધામાં ટકી શકશે.
૨૦૨૪માં બન્ને દેશો વચ્ચે ૪૨.૬૦ અબજ પાઉન્ડસનો વેપાર થયો હતો. જો કે તબીબી સાધનો જેવા કેટલાક સેગમેન્ટસમાં યુકે ચીનના પ્રોડકટસનું માધ્યમ બની જવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે.
ટેકસટાઈલની ભારતની યુકે ખાતેની નિકાસ જે હાલમાં ૧.૪૦ અબજ ડોલર છે તે બમણી થઈ જવાની ટેકસટાઈલ નિકાસકારો અપેક્ષા રાખી રહ્યા છે. સામાન્ય પૂરવઠા સાંકળને કારણે ભારતની ઓટો કંપનીઓને યુકેમાં તેમની શાખાઓને પરિણામે લાભ થવાની વિશ્લેષકો ગણતરી મૂકી રહ્યા છે.
યુકેની ટેકસટાઈલ માર્કેટમાં ચીનનો હિસ્સો હાલમાં ૨૧ ટકા છે અને બંગલાદેશનો ૧૮ જ્યારે ભારતનો પાંચ ટકા છે. ભારત તેના બજાર હિસ્સાને બમણો કરીને દસ ટકા કરશે તો પણ તેના નિકાસ વોલ્યુમમાં ૧ અબજ ડોલરનો વધારો થશે એમ પણ ટેકસટાઈલ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું.