વેલ્સમાં પૂ. ગાંધીજી અને વિન્સ્ટન ચર્ચિલની પ્રતિમા હટાવાય તેવી શક્યતા

Wednesday 02nd December 2020 06:06 EST
 
 

લંડનઃ બ્રિટનના કેટલાક વિસ્તારોમાંથી ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર દેશોને જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની પ્રતિમાઓને હટાવી દેવાય તેવી શક્યતા છે. વેલ્સ સરકારના અહેવાલમાં કરાયેલા દાવાના કારણે આમ બની શકે. અહેવાલમાં ઘણાં પ્રતિષ્ઠિત લોકો સામે સવાલો ઊઠાવાયા છે અને મહાન ગણાતા ઘણાં લોકોના ગુણ-દોષની સંપૂર્ણ સમીક્ષા થાય તેવી માગણી કરાઇ છે.

આ અહેવાલ બ્લેક લાઇવ્સ મેટર કેમ્પેઈન દરમિયાન જ આવ્યો છે. ‘ધ ટ્રિબ્યુન’ અખબાર મુજબ અહેવાલમાં જણાવાયું હતું કે ગાંધીજી દક્ષિણ આફ્રિકાના અશ્વેતો વિરુદ્ધ રંગભેદી વલણ ધરાવતા હતા. વિન્સ્ટન ચર્ચિલ અંગે કહેવાયું છે કે તેમણે બ્રિટનને જીત અપાવી હતી પણ વેલ્સના કેટલાંક ખાસ વિસ્તારોમાં લોકો તેમને સહેજ પણ પસંદ કરતા નથી. ચર્ચિલ સામ્રાજ્યવાદના સમર્થક હતા અને પોતાના વર્ણને શ્રેષ્ઠ ગણાવતા હતા. તેમણે બ્રિટિશ સામ્રાજ્ય ખતમ કરવાનો વિરોધ કર્યો અને ભારતમાં બંગાળમાં પડેલા દુકાળ વખતે તેઓ પૂરતી રાહત આપવામાં નિષ્ફળ રહ્યા હતા. વેલ્સમાં ચર્ચિલના નામ પર પંદર રસ્તા છે અને ત્યાં તેમની બે પ્રતિમા પણ છે. વેલ્સમાં ગાંધીજીની પ્રતિમા પણ છે. રિસર્ચ ટીમનું નેતૃત્ત્વ કરનારા ગ્યોર લેગેલે કેટલાંક વિવાદાસ્પદ સ્મારકોને સંગ્રહાલયોમાં ખસેડવામાં આવે તેવી શક્યતા દર્શાવી હતી.

ગાંધીજી સામે આક્ષેપ કરાયો છે કે વર્ષ ૧૯૦૩માં તેમણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન લખ્યું હતું કે ત્યાં શ્વેત લોકો મુખ્ય વર્ણ હોવા જોઇએ. સાથે જ તેમણે એમ પણ કહેલું કે અશ્વેતો સમસ્યા ઊભી કરે છે, ગંદા હોય છે અને પશુઓની માફક રહે છે. આ આરોપોના કારણે જ પહેલાં ઘાનાની એક યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંધીજીની પ્રતિમા હટાવી લેવાઈ હતી. આ મુદ્દે રામચંદ્ર ગુહા સહિત ઘણાં ઇતિહાસકારોનું કહેવું છે કે ગાંધીજીએ આ વાતો લખી હતી ત્યારે તેઓ બહુ યુવાન હતા. બાદમાં તેઓ ઘણા બદલાયા અને પછી તેઓ આજીવન રંગભેદના વિરોધી રહ્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter