લંડનઃ સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર ગ્રંથ શિક્ષાપત્રીની રચનાના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વિશ્વપ્રસિદ્ધ બોડલિયન લાયબ્રેરી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંયુક્ત ઉપક્રમે આ પવિત્ર હસ્તપ્રતના યુકે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. બોડલિયન લાઈબ્રેરીમાં સુરક્ષિત આ હસ્તપ્રત, શિક્ષાપત્રીની સૌથી જૂની નકલોમાંની એક માનવામાં આવે છે. આ ઐતિહાસિક પ્રવાસ દ્વારા બ્રિટનના વિવિધ મંદિરોમાં ભાવિકોને તેના દર્શનનો લાભ મળશે.
મંદિરના પ્રવક્તાએ આ ઘટનાને પરમ સૌભાગ્ય ગણાવતા જણાવ્યું હતું કે, અમે મંદિરની ૨૦મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ ત્યારે આ હસ્તપ્રતનું આગમન શ્રદ્ધાળુઓ માટે ભગવાન સ્વામિનારાયણના મૂળ ઉપદેશો સાથે જોડાવાની એક જીવનભરની યાદગાર તક બની રહેશે.
બોડલિયન લાયબ્રેરીના એશિયન અને મિડલ ઈસ્ટર્ન કલેક્શનના કીપર ડો. ગિલિયન એવિસને જણાવ્યું હતું કે, રચનાની બે સદી બાદ પણ શિક્ષાપત્રીમાં રહેલા કરુણા, નૈતિક જીવન અને સામાજિક સંવાદિતાના સંદેશા આજના જટિલ સમયમાં પણ તેટલા જ સુસંગત છે.


