લંડનઃ વિક્રમ દિગ્વાના કેસની સુનાવણી બાદ ફાટી નીકળેલા રમખાણોને પગલે નોકરીના સ્થળે, દુકાનોમાં અને રસ્તાઓ પર સતામણીની ઘટનાઓ સામે આવતા શીખ સમુદાયના અનેક લોકોમાં બદલાની ભાવનાનો ડર વ્યાપી ગયો છે. સાઉધમ્પટનમાં શીખો સામે વંશીય દુર્વ્યવહારના કિસ્સાઓ એટલી હદે વધી ગયા છે કે તેઓ પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.
સમુદાયના આગેવાનોએ જણાવ્યું હતું કે લોકોને તેમના ગુરુદ્વારા સુધી ચાલીને જવામાં પણ ડર લાગી રહ્યો છે, અને વયોવૃદ્ધ રહેવાસીઓને રસ્તા પર એકલા બહાર મોકલતા પરિવારો ડરી રહ્યાં છે. નોકરીના સ્થળે અને ખરીદી કરતી વખતે પણ શીખોને વંશીય ટિપ્પણીઓનો ભોગ બનવું પડ્યું છે. આ સુરક્ષા ચિંતાઓને પગલે શુક્રવારે યોજાનારો એક શીખ સમુદાયના અગ્રણીનો સ્મરણાંજલિ કાર્યક્રમ પણ આયોજકો દ્વારા રદ કરવામાં આવ્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે તેઓ પોતાના સ્ટાફ અને સમુદાયના સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે ચિંતિત હતા.
સાઉધમ્પટનના ગુરુદ્વારા ખાલસા દરબારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે નિશાન બની રહ્યા હોવાનો અનુભવ કરી રહ્યા છીએ અને લોકો ઘરની બહાર નીકળતા ડરે છે. લોકો ચાલીને આવતા ડરતા હોવાથી ગુરુદ્વારા ખાલી પડ્યા છે. ક્રુઝ ટર્મિનલ પર કામ કરતા બે લોકોને વંશીય રીતે અપમાનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ટેસ્કો સુપરમાર્કેટમાં ખરીદી કરી રહેલી એક વ્યક્તિને કહેવામાં આવ્યું કે તમારે યુકેમાં રહેવાની કોઈ જરૂર નથી. કેર હોમમાં કામ કરતા એક શીખ કર્મચારી પાસે એક દર્દીએ માત્ર એટલા માટે સારવાર લેવાનો ઇનકાર કરી દીધો કારણ કે તેણે પાઘડી પહેરી હતી.
પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ કટ્ટરપંથી આંદોલને લોકોના મનમાં શીખો પ્રત્યે નફરત ભરી દીધી છે. અમે હંમેશાં શાંતિ અને મિત્રતાપૂર્વક રહ્યા છીએ પરંતુ આ એક ઘટનાને કારણે આખા શીખ સમુદાયને ખોટો ચિતરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પાઘડી, દાઢી અને કિરપાણ ધારણ કરતા પુરુષો બહાર નીકળતા ભય અનુભવી રહ્યા છે. અગાઉ કિરપાણને લઈને ક્યારેય કોઈ વિવાદ નહોતો પરંતુ અત્યારે મીડિયા અને નેતાઓ દ્વારા વારંવાર નકારાત્મકતા ફેલાવવામાં આવી રહી છે.
સાઉધમ્પટનમાં શીખ ગ્રંથી પર રેસિસ્ટ હુમલો
નોવાક હત્યા કેસમાં દિગ્વાને આજીવન કેદની સજાની સુનાવણીના 3 દિવસ બાદ સાઉધમ્પટનમાં શીખ ગ્રંથી ખરીદી માટે બહાર ગયા ત્યારે તેમના પર હુમલો કરાયો હતો. જોકે આ હુમલામાં તેમને કોઇ ગંભીર ઇજા થઇ નહોતી પરંતુ તેમની સામે રેસિસ્ટ ટિપ્પણીઓ કરી દેશ છોડવા ધમકાવવામાં આવ્યા હતા.

