લંડનઃ યુકેમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૪૬૦થી પણ વધી છે અને મૃત્યુઆંક આઠ થયો છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાકે પોતાના ૧૧ માર્ચના પ્રથમ બજેટમાં કોવિડ-૧૯ વાઈરસની મહામારી સામે લડવા ૩૦ બિલિયન પાઉન્ડની યોજના જાહેર કરી છે. તેમણે ત્રણ મુદ્દાના આર્થિક એક્શન પ્લાનમાં બીમાર લોકોના વેતનમાં ફેરફાર અને સરકાર દ્વારા મદદ ઉપરાંત, બિઝનેસીસને મદદ કરવાના નોંધપાત્ર પગલાંમાં ચાન્સેલરે એક વર્ષ માટે બિઝનેસીસની સહાય માટે બિઝનેસ રેટ્સ રદ કર્યાં છે તેમજ નાની પેઢીઓની મદદ માટે નવી લોન યોજના પણ જાહેર કરી છે.
મહત્ત્વની બાબત એ છે કે NHSનો ઉપયોગ કરવા બદલ માઈગ્રન્ટ્સ પાસેથી વાર્ષિક ૬૨૪ પાઉન્ડની વસૂલાત કરવામાં આવશે. બજેટના પગલાંના કારણે બ્રિટનની રાજકોષીય ખાધમાં ૧૨૫ બિલિયન પાઉન્ડથી વધુનો ઉમેરો થશે તેમજ અર્થતંત્રની ૧.૧ ટકાના દરે વૃદ્ધિ થશે. એક વર્ષ અગાઉ આ દર ૧.૪ ટકાનો ગણાવાયો હતો. નોંધપાત્ર બાબત એ છે કે ઈયુ છોડવાના પરિણામે અર્થતંત્રને ૧૪ બિલિયન પાઉન્ડનું બોનસ પણ મળી રહેશે.
કોરોના વાઈરસની મહામારી સામે યુદ્ધ
કોરોના વાઈરસના ફેલાવા સાથે માર્કેટ્સ ઊંધા માથે પછડાઈ રહ્યા છે અને યુકેનું અર્થતંત્ર વૈશ્વિક મંદીની તરફ ઘસડાઈ રહ્યું છે ત્યારે ચાન્સેલર સુનાકે કોવિડ-૧૯ વાઈરસની વૈશ્વિક મહામારી સામે લડવા NHSને ૩૦ બિલિયન પાઉન્ડ ફાળવવાની જાહેરાત કરી છે જેથી સંભવિત હજારો બીમાર લોકોની સારવારમાં આરોગ્ય સંસ્થાને વાંધો ન આવે. આ ફાળવણીમાં ૧૨ બિલિયન પાઉન્ડ કોરોના વાઈરસ સામે મદદ તરીકે અને વધુ ૧૮ બિલિયન પાઉન્ડ અર્થતંત્રને ઉત્તેજનના પગલામાં રહેશે.
લોકો બીમારીના પહેલા જ દિવસથી બેનિફિટનો ક્લેઈમ કરી શકશે. જો બ્રિટિશરોને વાઈરસની અસરના એક પણ લક્ષણ ન હોય છતાં તેમને ઘેર રહેવાની ફરજ પડશે તો તેઓ બીમારીનું વેતન મેળવી શકશે. તેઓ જીપી પાસે ગયા વિના જ NHS111 મારફત ડોક્ટરની સિક નોટ પણ મેળવી શકશે. જે લોકોને લક્ષણો ન હોવાં છતાં ઘરમાં અલાયદા રહેવા જણાવાય તેમને સાપ્તાહિક ૯૪.૨૫ પાઉન્ડનું બીમારી વેતન આપવાની જાહેરાત પણ કરાઈ છે. આ સાથે ૨૫૦થી ઓછા સ્ટાફ સાથેની કંપનીઓને બે સપ્તાહ માટે સિક પે ચૂકવણીઓમાં રિફન્ડ આપવાની જાહેરાત પણ કરાઈ હતી.
બજેટમાં કરાયેલી વિવિધ ફાળવણીઓ
ચાન્સેલર સુનાકના બજેટમાં કોરોના વાઈરસ સામેના યુદ્ધમાં ૩૦ બિલિયન પાઉન્ડ, રોડ, રેલ્વે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૬૪૦ બિલિયન, રસ્તાઓ તેમજ ખાડા પૂરવા અને રીસરફેસિંગના કાર્યો માટે ૨૭ બિલિયન, એફોર્ડેબલ હોમ્સ માટે ૧૨.૨ બિલિયન, સારાં બ્રોડબેન્ડ માટે ૫ બિલિયન, દેશમાં ૯૫ ટકા 4G માટે ૫૧૦ મિલિયન, રફ સ્લીપિંગનો અંત લાવવા ૬૩૪ મિલિયન, દેશમાં વારંવાર આવતા પૂર સામે રક્ષણ મેળવવા વધુ ૫૦૦ મિલિયન, ફર્ધર એન્યુકેશન કોલેજોમાં બિલ્ડિંગ અપગ્રેડેશન માટે ૧.૫ બિલિયન, વેટરન્સ ભંડોળને ૧૦ મિલિયન પાઉન્ડ સાથે પ્રોત્સાહન, NHSમાં સ્ટાફની ભરતી અને હોસ્પિટલ અપગ્રેડેશન માટે પાંચ વર્ષમાં વધુ ૬ બિલિયન પાઉન્ડ
નોંધપાત્ર પગલાંમાં ચાન્સેલરે એક વર્ષ માટે બિઝનેસીસની સહાય માટે બિઝનેસ રેટ્સ રદ કર્યાં છે અને સમગ્ર હાઈ સ્ટ્રીટ બિઝનેસ રેટ્સ નિયમોની સમીક્ષા કરવાની તેમજ નાની પેઢીઓની મદદ માટે નવી લોન યોજના પણ જાહેર કરી છે. તેમણે જણાવ્યું છે કે નેશનલ લિવિંગ વેજ ૨૦૨૪ સુધીમાં ૧૦.૫૦ પાઉન્ડ થશે.
બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજકાપ
અગાઉ, બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ અભૂતપૂર્વ પગલામાં કોરોના રોગચાળાના કારણે મંદ પડેલા અર્થતંત્રને ઉગારવા અને દેવાંમાં ફસાયેલા બ્રિટિશરોને રાહત આપવા વ્યાજદરમાં ૦.૫ ટકાનો કાપ જાહેર કર્યો હતો. આના પરિણામે બેન્કરેટ ૦.૭૫ ટકાથી ઘટી ૦.૨૫ ટકાનો થશે. વ્યાજદરમાં કાપ અને રિશિ સુનાકના ભારે ખર્ચ સાથેના બજેટથી અર્થતંત્રને ઉત્તેજન મળશે. વ્યાજમાં કાપને રોકાણકારોએ આવકાર્યો હતો અને બજાર થોડું ઊંચે પણ ગયું હતું. જોકે, કોરોના વાઈરસના ફરી ગભરાટના કારણે બજારો નીચે ગયાં હતાં. ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીના વિદાય લેતા ચીફ એક્ઝિક્યુટિવ અને નવા બેન્ક ગવર્નર એન્ડ્રયુ બેઈલીની સાથે માર્ક કાર્નીએ વ્યાજદરમાં કાપની જાહેરાત કરી હતી. બેન્કના ૩૨૫ વર્ષના ઈતિહાસમાં વ્યાજ દર સૌથી નીચા હોવાં છતાં બેન્કે અર્થતંત્રને
સપોર્ટ કરવા વધુ પ્રોત્સાહક પગલાં લેવા પડશે તેમ ગવર્નર કાર્નીએ કહ્યું હતું.