લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે યુકે સરકારનું દેવાંનાં વ્યાજની ચૂકવણી પાછળ કરદાતાઓના 11 બિલિયન પાઉન્ડ વેડફી માર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ (NIESR) દ્વારા જણાવાયું છે કે ક્વોન્ટિટેટિવ ઈઝિંગ (QE) પ્રોગ્રામ મારફત ઉભી કરાયેલી 900 બિલિયન પાઉન્ડની અનામતો પર વધનારા વ્યાજ દરની સામે રક્ષણ-બચાવ કરવામાં ચાન્સેલરની નિષ્ફળતાના કારણે આ ખોટ સહન કરવી પડી છે.
ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર પ્રોફેસર જગજિત ચઢ્ઢાએ ફાઈનાન્સિયલ ટાઈમ્સને જણાવ્યું હતું કે સુનાકની કામગીરીએ દેશને જંગી બિલ તેમજ સતત વધતા ઊંચા વ્યાજદરના જોખમમાં ધકેલી દીધો છે. પૂર્વ ચાન્સેલર ગોર્ડન બ્રાઉને યુકેની સુવર્ણ અનામતોનો કેટલોક હિસ્સો તળિયાના ભાવે વેચ્યો તેની ખોટ કરતાં પણ વ્યાજના નુકસાનની રકમ વધારે છે. લેબર પાર્ટીએ આક્ષેપ લગાવ્યો છે કે ટોરી સરકાર જાહેર ફાઈનાન્સની સાથે રમત રમી રહી છે.
FTના રિપોર્ટ મુજબ બેન્ક ઓફ ઈંગ્લેન્ડે QE પ્રોગ્રામ મારફત 895 બિલિયન પાઉન્ડ ઉભાં કર્યા હતા જેનો મોટા ભાગે ઉપયોગ પેન્શન્સ ફંડ્ઝ અને અન્ય રોકાણકારો પાસેથી સરકારી બોન્ડ્સ ખરીદવામાં કરાયો હતો. આ રોકાણકારોએ તેમને થયેલી આવક બેંન્ક ઓફ ઈંગ્લેન્ડની કોમર્શિયલ બેન્ક ડિપોઝિટ્સમાં મૂક્યો ત્યારે બેન્કે સત્તાવાર વ્યાજદર મુજબ વ્યાજ ચૂકવવું પડ્યું હતું.