લંડનઃ બ્રિટિશ રાજકારણને દૂરદર્શી અસર કરનારા મહત્ત્વપૂર્ણ અને ઐતિહાસિક જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટના પ્રેસિડેન્ટ લેડી હેલે જણાવ્યું હતું કે પાંચ સપ્તાહ સુધી કોમન્સના સત્રને સમાપ્ત જાહેર કરવાની મહારાણીને વડા પ્રધાનની સલાહ ગેરકાયદે, નિરર્થક અને અસરહીન હતી. તેની અસર પાર્લામેન્ટને તેની બંધારણીય કામગીરી કરતા અટકાવવાની ક્ષમતા રાખતી હતી. તેમણે પાર્લામેન્ટનું સત્ર સમાપ્ત થયું નથી અને તે યથાવત છે તેમ પણ જણાવ્યું હતું. આ ચુકાદાના પગલે કોમન્સના સ્પીકર જ્હોન બેર્કોએ તમામ સાંસદોને બુધવારે સવારે ગૃહમાં આવવા જણાવ્યું હતું. આ ચુકાદાના પરિણામે યુકેમાં રાજકીય મડાગાંઠ સર્જાશે. ન્યાયતંત્ર અને વડા પ્રધાનની સત્તા વિશે પણ નવી ચર્ચા ઊભી થશે. લેબરનેતા જેરેમી કોર્બીન તેમજ અન્ય સાંસદોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારી વડા પ્રધાન જ્હોન્સનના રાજીનામાની માગણી કરી હતી. જોકે, ૩૫૦૦ માઈલ દૂર ન્યૂ યોર્કમાં વડા પ્રધાન બોરિસે રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી કહ્યું હતું કે તેઓ ફરીથી કોમન્સનું સત્ર બંધ કરવાનું વિચારશે. તેમણે ચુકાદાને સન્માન આપતા હોવાનું પણ જણાવ્યું છે. લેડી હેલે જણાવ્યું હતું કે પાર્લામેન્ટનું સત્ર સમાપ્ત કરવાનો નિર્ણય ગેરકાયદે છે કારણકે તેનાથી પાર્લામેન્ટને નિરાશ- અનિર્ણાયક કરતી અસર પેદા થાય છે. આ ચુકાદાથી વડા પ્રધાન અપમાનજનક પરિસ્થિતિમાં મૂકાયા છે અને નવી બંધારણીય કટોકટી સર્જાઈ શકે છે જેનાથી ૩૧ ઓક્ટોબરે ઈયુમાંથી બહાર નીકળવાનું તેમનું વચન ભયમાં મૂકાશે. વડા પ્રધાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના હતા પરંતુ, તેમણે કોમન્સમાં હાજરી આપવા તત્કાળ યુકે પાછા ફરવું પડ્યું છે.
યુકે સુપ્રીમ કોર્ટના સૌથી સીનિયર ૧૧ જજે સર્વસંમતિથી બોરિસ જ્હોન્સનના નિર્ણયને ગેરકાયદે ઠરાવતા જણાવ્યું હતું કે વડા પ્રધાને પાર્લામેન્ટના સત્રને સમાપ્ત કરવા મહારાણીને ગેરકાયદે સલાહ આપી હતી, જે બ્રેક્ઝિટ વિશે ચર્ચાને નિષ્ફળ કરવાનું ’આત્યંતિક પગલું હતું. ચુકાદો જાહેર કરતાં લેડી હેલે જણાવ્યું હતું કે આપણી લોકશાહીના મૂળભૂત તત્વો પર આની વિષમ અસર છે. આવી આત્યંતિક અસર ધરાવતું પગલું લેવાને વાજબી ઠરાવી શકાય તેવી કોઈ રજૂઆત કોર્ટ સમક્ષ કરાઈ નથી. જોકે, વડા પ્રધાને ક્વીન સમક્ષ જુઠાણું આચર્યું કે કેમ તે કહેવાનું તેમણે નકાર્યું હતું. આમ છતાં, વડા પ્રધાને ક્વીનને ગેરમાર્ગે દોર્યા હોવાનો અર્થ જજમેન્ટમાં જોઈ શકાય છે તેમ ટીકાકારોનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની બેન્ચ સમક્ષ પાર્લામેન્ટના સસ્પેન્શનને પડકારતી અરજીઓ પર સુનાવણી પછી લેડી હેલ દ્વારા ઐતિહાસિક ચુકાદો જાહેર કરાયો છે. આ કાનૂની લડતમાં ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં પાર્લામેન્ટના પાંચ સપ્તાહ માટે સસ્પેન્શન સામે બે અલગ કેસનો નિર્ણય કરાયો છે, જેમાં વિરોધાભાસી ચુકાદા અપાયા હતા. સુપ્રીમ કોર્ટના સુનાવણી કરનારાં ૧૧ જસ્ટિસમાં કોર્ટના પ્રેસિડેન્ટ લેડી હેલ, લોર્ડ સેલ્સ, લેડી આર્ડેન, લેડી બ્લેક, લોર્ડ કેર, લોર્ડ હોજ, લોર્ડ કિચીન, લોર્ડ લોઈડ-જોન્સ, લોર્ડ કાર્નવાથ, લોર્ડ વિલ્સન અને લોર્ડ રીડનો સમાવેશ થાય છે. કટ્ટર રીમેઈન કેમ્પેઈનર જિના મિલર હાઈ કોર્ટમાં કેસ હારી ગયાં પછી સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યાં હતાં. જિના મિલરના સમર્થકોએ ચુકાદો આવતા જ પાર્લામેન્ટ સ્ક્વેરની બહાર જ્હોન્સન આઉટ’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.
સાંસદોને ગૃહમાં હાજરી આપવા સૂચના
પાર્લામેન્ટનું સત્ર સમાપ્ત થયું નથી અને તે યથાવત છે તેવા સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા પછી કોમન્સના સ્પીકર જ્હોન બેર્કોએ તમામ સાંસદોને બુધવારે સવારે ૧૧.૩૦ કલાકે ગૃહમાં આવવા જણાવ્યું હતું. કોલેજ ગ્રીન ખાતે પ્રેસ કોન્ફરન્સમાં સ્પીકર બેર્કોએ સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ ચુકાદાને આવકાર્યો હતો. સ્પીકરે વડા પ્રધાનના હાથમાંથી સત્તા ખૂંચવી લીધી હતી અને પાર્લામેન્ટને ફરી ખોલવાની જાહેરાત કરી દીધી છે. સ્પીકરે જણાવ્યું હતું કે સત્રસમાપ્તિ ગેરકાયદે હોવાથી તેમણે કોમન્સનું કામકાજ શરુ કરવાની સૂચના સત્તાવાળાને આપી છે. વડા પ્રધાનની પ્રશ્નોત્તરી શક્ય નહિ બને પરંતુ તાકીદના પ્રશ્નો અને ચર્ચા હાથ ધરાશે. લેબરનેતા જેરેમી કોર્બીને સમર્થકો સાથે ઉજવણી કરીને સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને વડા પ્રધાન જ્હોન્સનના રાજીનામાની માગણી કરી હતી.
બોરિસનો રાજીનામું આપવાનો ઈનકાર
બીજી તરફ, ન્યૂ યોર્કમાં રહેલા વડા પ્રધાન બોરિસે રાજીનામું આપવાનો ઈનકાર કરતા કહ્યું હતું કે તેઓ ફરીથી કોમન્સનું સત્ર બંધ કરવાનું વિચારશે. વડા પ્રધાને અગાઉ જણાવ્યું જ છે કે તેઓ કેસ હારશે તો પણ રાજીનામું નહિ આપે પરંતુ, કાનૂની રીતે કોર્ટને અવગણી કોમન્સની પુનઃ સત્ર સમાપ્તિ માટે મહારાણીને સલાહ આપવા વિચારશે. જોકે, બળવાખોર અને વિરોધી સાંસદો કોમન્સ ખુલવાની સાથે જ નો-કોન્ફિડન્ટ વોટ લાવે તેવી ધારણા છે. જો બોરિસ આ પ્રસ્તાવ હારી જાય તો તેમણે રાજીનામું આપવું પડે અને દેશ સામાન્ય ચૂંટણી તરફ ધકેલાશે.
બ્રેક્ઝિટ સમજૂતીના પ્રયાસો વધ્યા
દરમિયાન, બ્રેક્ઝિટ સમજૂતી તરફના પ્રયાસો વધી ગયા છે. જહોન્સન યુએનની મુલાકાતે ગયા છે ત્યારે પણ ઈયુ નેતાઓ સાથે બ્રેક્ઝિટ મંત્રણાની તક ઝડપી લે તેવી શક્યતા છે. યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ જીન-ક્લૌડ જુન્કરે એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું છે કે તેમને વિવાદાસ્પદ આઈરિશ બોર્ડર બેકસ્ટોપ માટે ખાસ પ્રેમ નથી. યુકે સાથે બ્રેક્ઝિટ સમજૂતી કરવા માટે તેને દૂર પણ કરી શકાય છે. આ સાથે ૩૧ ઓક્ટોબર અગાઉ બ્રેક્ઝિટ સમજૂતીની શક્યતા વધી છે. જોકે, ફ્રેન્ચ પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં અને ફિનિશ વડા પ્રધાન એન્તિ રીનેએ બેકસ્ટોપના વિકલ્પો રજૂ કરવા બ્રિટનને સપ્ટેમ્બરના અંત સુધીની મુદત આપી છે.
રીમેઈન કેમ્પેઈનર્સ દ્વારા વડા પ્રધાન જહોન્સને સત્તાનો દુરુપયોગ કર્યાની રજૂઆત કરાઈ હતી. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પાર્લામેન્ટના સસ્પેન્શનને અટકાવી રાજકીય ક્ષેત્રમાં પ્રવેશવા સામે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓને ચેતવણી આપવા સાથે દાવો કર્યો છે કે આ જજીસનું અધિકારક્ષેત્ર નથી. સરકાર જો કેસ હારી જશે તો પણ ફરીથી પાર્લામેન્ટને સસ્પેન્ડ કરવાનું નકારતી નથી.
આઈરિશ બેકસ્ટોપ વિશે ખાસ પ્રેમ નથીઃ જુન્કર
યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ તરીકે નવેમ્બરમાં નિવૃત થતા જીન-ક્લૌડ જુન્કરે એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું છે કે તેમને વિવાદાસ્પદ આઈરિશ બોર્ડર બેકસ્ટોપ માટે ખાસ પ્રેમ નથી. યુકે સાથે બ્રેક્ઝિટ સમજૂતી કરવા માટે તેને દૂર પણ કરી શકાય છે. જો આ માગણી અન્ય રીતે સંતોષી શકાય તો કસ્ટ્મ્સ જોગવાઈ રદ કરવા ઈયુની તૈયારી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે બ્રિટન ૩૧ ઓક્ટોબર સુધીમાં પણ બ્રેક્ઝિટ સમજૂતી મેળવી શકે છે. જો યુકે થેરેસા મે સાથે કરાયેલી સમજૂતીના સંદર્ભે કોઈ સંતોષકારક વિકલ્પ આપી શકે તો ૩૧ ઓક્ટોબરની આખરી મહેતલ સુધી પણ સમજૂતી શક્ય બનશે. તેમણે કહ્યું હતું કે નોર્ધર્ન આયર્લેન્ડને ઈયુના ફૂડ અને એગ્રીકલ્ચરલ નિયમો સાથે સુસંગત રાખવાના બોરિસ જ્હોન્સન સરકારના તાજેતરના સૂચનો સમજૂતી પર પહોંચવાની નજીકના છે.
બ્રિટન- આયર્લેન્ડ વચ્ચે ગુપ્ત બેકસ્ટોપ મંત્રણાઓ
બ્રિટન અને આયર્લેન્ડ વિવાદાસ્પદ બેકસ્ટોપ મુદ્દે સતત વાટાઘાટો ચલાવી રહ્યા છે. ઈયુના નેતાઓએ બેકસ્ટોપના વિકલ્પો રજૂ કરવા બ્રિટનને સપ્ટેમ્બરના અંત સુધીની મુદત આપી છે. ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં અને ફિનલેન્ડના વડા પ્રધાન એન્તિ રીનેએ પેરિસની બેઠક પછી ૧૧ દિવસની આખરી સમયમર્યાદા આપી છે. જોકે, આ મહેતલને અન્ય યુરોપિયન નેતાઓનું સમર્થન છે કે કેમ તે વિશે અસ્પષ્ટતા છે. જો બોરિસ જ્હોન્સન આ મુદત સુધીમાં કોઈ વિકલ્પ સાથે નવો બ્રેક્ઝિટ પ્લાન સૂચવી નહિ શકે તો નો-ડીલની શક્યતા વધી જશે. આઈરિશ ફોરેન એફેર્સ મિનિસ્ટર સિમોન કોવેનીએ કહ્યું છે કે તેઓ ૩૧ ઓક્ટોબરે નો-ડીલને ટાળવાનો માર્ગ શોધવા જ્હોન્સનના કેબિનેટના સભ્યો સાથે નિયમિત વાતચીત કરી રહ્યા છે. તારીખ નજીક આવતી જાય છે તેમ બ્રેક્ઝિટ મડાગાંઠને તોડવાના પ્રયાસો વધી રહ્યા છે. વડા પ્રધાન રીનેનો દેશ ફિનલેન્ડ ઈયુ કાઉન્સિલનું પ્રમુખપદ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે સપ્ટેમ્બરના અંત સુધીમાં લેખિત પ્રસ્તાવો નહિ મળે તો બધી વાતનો અંત આવી જશે. બીજી તરફ, ડબ્લિન અને લંડન વચ્ચે શટલ ડિપ્લોમસીનું વધેલું પ્રમાણ આશાનું કિરણ દર્શાવે છે કે નો-ડીલ બ્રેક્ઝિટ ટાળી શકાશે.
બોરિસ જ્હોન્સન પાસે બ્રેક્ઝિટ બ્લુપ્રિન્ટ છે?
બ્રેક્ઝિટના દિવસો ઘટી રહ્યા છે તેની સાથે તેને ઉકેલવાની મંત્રણાઓ વધી રહી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈયુના કેટલાક નેતાઓને પોતાની બ્રેક્ઝિટ બ્લુપ્રિન્ટની વિગતોમાં સહભાગી બનાવ્યા છે. ઈયુ મંત્રણાકારોને વિવાદાસ્પદ આઈરિશ બેકસ્ટોપ હટાવવા સહિત જ્હોન્સનની બ્રેક્ઝિટ યોજનાની કેટલીક વિગતો આપવામાં આવી છે. વડા પ્રધાન બોરિસ ન્યુ યોર્કમાં યુએનની સામાન્ય સભાની મુલાકાત દરમિયાન જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે પોતાની યોજનાની ચર્ચા પણ કરશે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર બીજી ઓક્ટોબરે પૂર્ણ થતી કન્ઝર્વેટિવ પાર્ટીના અધિવેશનમાં બખેડો ન સર્જાય તે માટે જ્હોન્સનની સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આગામી મહિને જાહેર કરાશે. તેમને ભય છે કે ઈયુના સભ્ય નેતાઓને સંપૂર્ણ યોજના બતાવાશે તો તેમાંથી માહિતી લીક થઈ શકે છે. બેકસ્ટોપ પર ભાર રાખવા સાથે થેરેસા મેની સમજૂતીમાંથી કયો હિસ્સો દૂર કરવો જોઈએ તેની વિગતો જ બ્રેક્ઝિટ દૂત ડેવિડ ફ્રોસ્ટ દ્વારા તેમના સમકક્ષોને બતાવાઈ છે. આ બ્લુપ્રિન્ટમાં ‘ઓલ આયર્લેન્ડ’ એગ્રીકલ્ચરલ ઝોન રચવાનો વિચાર છે, જેનાથી આઈરિશ સરહદ પર પશુધન અને આહાર પરની તપાસ દૂર થઈ જશે. ડીયુપી પણ આ વિચાર સાથે સંમત થઈ શકે છે.