લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શંકાસ્પદ કોરોના વાઈરસ ટેસ્ટિંગનો ઈનકાર કરનારાને ફરજિયાત સેલ્ફ- આઈસોલેશનમાં રહેવું પડશે. જેઓ સેલ્ફ- આઈસોલેશનનો પણ ઈનકાર કરશે તેમને ૧૦૦૦ પાઉન્ડનો દંડ અથવા જેલમાં જવાની તૈયારી રાખવી પડશે. બ્રિટિશ પોલીસને આ માટે ખાસ સત્તા આપવામાં આવી છે. બીજી તરફ, ૭૦થી વધુ વયના લોકોને ચાર મહિના સુધી તાળાબંધીનો સામનો કરવાનો આવશે. યુકેમાં મૃત્યુઆંક વધીને ૩૫ થયો છે.
સરકારની વેબસાઈટ પર પ્રસિદ્ધ ધ હેલ્થ પ્રોટેક્શન (કોરોના વાઈરસ) રેગ્યુલેશન્સ ૨૦૨૦ અનુસાર ચેપની શંકા ધરાવનારા લોકોને ૧૪ દિવસ સુધી સુરક્ષિત હોસ્પિટલ અથવા અન્ય યોગ્ય સ્તળે રાખવામાં આવશે.
જેઓ નાસી છૂટવા પ્રયાસ કરશે તેમને કસ્ટડીમાં લીધા પછી ડિટેન્શન અથવા આઈસોલેશનમાં રખાશે. નિયમોનું પાલન નહિ કરવાને ક્રિમિનલ ગુનો ગણવામાં આવશે અને ૧૦૦૦ પાઉન્ડ સુધીનો દંડ કરાશે. જેઓ દંડ ન ભરે તેમને જેલમાં મોકલાશે. નવા નિયમોમાં જણાવાયું છે કે ચેપની શંકા ધરાવનારાના ફરજિયાત ટેસ્ટ કરાશે. લોકોએ પોતાનો પ્રવાસ ઈતિહાસ તેમજ તાજેતરમાં કોને મળ્યા છો તેની વિગતો આપવાના રહેશે. ખોટી વિગતો આપનારને પણ દંડ થઈ શકશે.
શાંતિકાળના અભૂતપૂર્વ પગલાંમાં હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ટુંક સમયમાં ૭૦થી વધુ વયના લોકોને ચાર મહિના સુધી ઘરમાં જ રહેવા જણાવાશે. હજારો વોલન્ટીઅર્સે જરૂરિયાતમંદોને શોપિંગ અને દવાઓ પહોંચાડવામાં મદદ કરવા પ્રતિજ્ઞા લીધી છે. સેક્રેટરી હેનકોકે કહ્યું છે કે બ્રિટનમાં ૭૦થી વધુ વયના ૯.૨ મિલિયન લોકોને તેમના બચાવ માટે ચાર મહિના સુધી ઘરમાં અલાયદા રહેવા જણાવાશે. કોવિડ-૧૯ સામેના યુદ્ધમાં અપારદર્શકતાના આક્ષેપોના પગલે વડા પ્રધાન જ્હોન્સન રોજ ટેલિવાઈઝ્ડ બ્રીફિંગ આપશે.
બોરિસ સરકાર ઈમર્જન્સી પાવર મેળવશે
લંડનઃ યુકેના ઈતિહાસમાં સૌથી ઝડપી નાટ્યાત્મક વળાંકોમાં એક તરીકે બોરિસ સરકારે જાહેર કર્યું છે કે તે પાર્લામેન્ટમાં લેજિસ્લેશન પસાર કરી સરકાર માટે ઈમર્જન્સી પાવર્સ હાંસલ કરશે. આગામી વીકેન્ડથી સામૂહિક મેળવડાઓ પ્રતિબંધિત કરાશે, પોલીસને કોવિદ-૧૯ના શંકાસ્પદ પેશન્ટ્સની ધરપકડ કરવા, પોર્ટ્સ બંધ કરવા, કોઈ પણ વાહન અટકાવવા અને ઈચ્છાનુસાર હવાઈ, જહાજી અને રેલપ્રવાસ સસ્પેન્ડ કરવા, તેમજ ફ્યુનરલ અને અંતિમવિધિ વ્યવસ્થામાં ઉતાવળ કરાવવાની સત્તા મળશે. આ અસાધારણ સત્તા બે વર્ષ સુધી અમલમાં રહેશે. બ્રિટનમાં કોરોના વાઈરસના ૮૦૦ જેટલા કેસ થયા છે અને ૧૧ દર્દીના મોત નીપજ્યા છે. યુકેથી અલગ વલણ સાથે સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને ૫૦૦થી વધુ લોકો સાથેના ઈવેન્ટ્સ બંધ કરવાની જાહેરાત કરી છે.
સરકાર કોરોના વાઈરસ રોગચાળા સામે લડવા જે નવી સત્તાઓ હાંસલ કરવા તત્પર છે તેમાં રમતસ્પર્ધાઓ અને કોન્સર્ટ્સ સહિત વિશાળ જાહેર ઈવેન્ટ્સ પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. અગાઉ, બોરિસ જ્હોન્સન સામૂહિક મેળાવડાઓ પર નિયંત્રમો સહિત કઠોર પગલાં લેનારા અન્ય દેશો સાથે જોડાવાથી અળગા રહ્યા હતા પરંતુ, જાહેર દબાણના ભારે પ્રવાહના કારણે તેમણે સઢ ફેરવી નાખ્યા છે અને નિર્ણાયક કાર્યવાહી તરફ વળ્યા છે.
સૌથી ખરાબ જાહેર આરોગ્ય કટોકટી
અગાઉ, વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ચેતવણી આપી હતી કે યુકે જનરેશનમાં સૌથી ખરાબ જાહેર આરોગ્ય કટોકટીનો સામનો કરી રહ્યું છે અને ઘણા લોકોના મોત થઈ શકે છે. તેમણે ખાંસી-ઉધરસનાં લક્ષણ જણાય તો લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી. જોકે, સામૂહિક મેળાવડા પર પ્રતિબંધ અથવા શાળા-કોલેજો બંધ કરવાની તૈયારી દર્શાવી નથી. જ્હોન્સને ચેતવણીઓની વચ્ચે સ્પષ્ટતા કરી છે કે શાળાઓ બંધ કરવાથી રોગચાળાને અટકાવવામાં મદદ મળી શકે તેવી સલાહ હોવાં છતાં યુકે શાળાઓ બંધ કરશે નહિ.
કોબ્રા બેઠક પછી પત્રકાર પરિષદમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું છે કે કોરોના વાઈરસ તો ફ્લુ કરતા ઘણો વધુ ખતરનાક રોગચાળો છે. તેમણે કહ્યું હતું કે સતત ખાંસી અથવા તાવના હળવાં લક્ષણો સાથે પણ કોઈએ ઓછામાં ઓછાં સાત દિવસ સુધી સેલ્ફ-આઈસોલેશનમાં રહેવું જોઈએ. તેમણે લોકોને શક્ય હોય તો અલગ સૂવા અને સગાં તેમજ લોકોથી બે મીટરનું અંતર જાળવવા સલાહ આપી હતી.૭૦થી વધુ વયના અને લાંબા સમયથી ખરાબ આરોગ્ય સમસ્યાઓ સાથેના લોકોને ક્રૂઝ પર જવાનો પ્રતિબંધ લગાવાયો હતો તેમજ શાળાપ્રવાસો પણ બંધ કરાયા છે. બ્રિટનમાં રોજ વધુ પ્રમાણમાં ચેપગ્રસ્ત બની રહ્યા છે.
વડા પ્રધાને કહ્યું હતું કે કોરોના વાઈરસ આ પેઢીની સૌથી ખરાબ આરોગ્ય કટોકટી છે અને વધુ લોકો તેના કારણે મોત પામશે.