લંડનઃ ભારતે યુકે અને નોર્ધન આયર્લેન્ડ સાથે સોશિયલ સિક્યુરિટી કન્ટ્રીબ્યુશન્સનને સંબંધિત સોશિયલ સિક્યુરિટી પર કરાર કર્યો છે. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર લિન્ડી કેમરને નવી દિલ્હીમાં ગયા સપ્તાહમાં કરાર પર હસ્તાક્ષર કર્યાં હતાં.
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ કરાર અંતર્ગત એકબીજાના પ્રદેશોમાં હંગામી જવાબદારીઓ પર બંને દેશના કર્મચારીઓ માટે ડબલ સોશિયલ સિક્યુરિટી કન્ટ્રીબ્યુશન્સ અવગણવામાં આવશે. આ કરાર ટૂંકાગાળાની વિદેશમાંની જવાબદારી પર કર્મચારીઓને મોબિલિટીમાં સહાય કરશે અને સોશિયલ સિક્યુરિટી કવરેજ સુનિશ્ચિત કરશે. આ કરાર ભારત અને યુકે વચ્ચે કરાયેલા મુક્ત વેપાર કરારનો હિસ્સો રહેશે અને તેના અમલની સાથે જ સક્રિય થશે.
ટેકનોલોજી અને ઇનોવેશન યુકે-ઇન્ડિયા વિઝન 2035ના મુખ્ય સ્થંભઃ કેમરન
ભારતમાં આયોજિત એઆઇ સમિટ પર ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર લિન્ડી કેમરને જણાવ્યું હતું કે, યુકેના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને એઆઇ મિનિસ્ટર સમિટમાં ભાગ લેવા ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ટેકનોલોજી અને ઇનોવેશન યુકે-ઇન્ડિયા વિઝન 2035ના મુખ્ય સ્થંભ છે. 2023માં યુકેએ વિશ્વની સૌથી પહેલી એઆઇ સમિટનું આયોજન કર્યું ત્યારે હું ત્યાં હાદર હતી. આ વખતે ભારત તેનું નેતૃત્વ અને યજમાની કરી રહ્યો છે તે જોઇને ઘણો આનંદ થયો છે. આ દર્શાવે છે કે ભારત એઆઇ મામલાઓને વિશ્વ સમક્ષ કેવી રીતે રજૂ કરે છે.


