લંડનઃ પોસ્ટ ઓફિસના પૂર્વ અધ્યક્ષનું માનવું છે કે સ્કેન્ડલ દબાઇ જશે તેવી આશામાં સીનિયર અધિકારીઓએ હોરાઇઝન આઇટી સિસ્ટમ અંગેની મહત્વની માહિતી બોર્ડથી સંતાડીને રાખી હતી. એલિસ પર્કિન્સે જણાવ્યું હતું કે, વ્યાપક નિષ્ફળતાઓ પાછળ કોઇ કાવતરું નહોતું પરંતુ માહિતી દબાવી રાખવાની વૃત્તિને કારણે પોસ્ટ ઓફિસે 2019માં સબ પોસ્ટમાસ્ટરો કોર્ટમાં કેસ જીત્યા તે પહેલાં સિસ્ટમનો બચાવ કર્યે રાખ્યો હતો.
હોરાઇઝન આઇટી સ્કેન્ડલના મુદ્દે પહેલીવાર જાહેરમાં નિવેદન આપતાં પર્કિન્સે પોસ્ટ ઓફિસ ઇન્કવાયરીને જણાવ્યું હતું કે, 2013માં બોર્ડમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે સબ પોસ્ટમાસ્ટરો ન્યાયની કસુવાવડનો ભોગ બની રહ્યાં છે. જોકે તે સમયે પોસ્ટ ઓફિસે સબ પોસ્ટમાસ્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી હોરાઇઝન આઇટી સિસ્ટમ અંગેની ચિંતાઓને જાહેરમાં નકારી કઢાઇ હતી અને ભાર મૂક્યો હતો કે કોઇને ખોટી રીતે દોષી ઠેરવાયાં નથી.
પર્કિન્સે 2011માં હોદ્દો સંભાળ્યો તેના થોડા જ દિવસોમાં તેમને ગંભીર ચેતવણી અપાઇ હતી કે સબ પોસ્ટમાસ્ટરો પર મૂકાયેલા આરોપો સાથે હોરાઇઝન સિસ્ટમમાં રહેલી ખામીઓ સંકળાયેલી હોઇ શકે છે.


