તેમણે કહ્યું હતું કે તેઓ પુરુષ પ્રોસ્ટિટ્યૂટે કરેલા ટેલિફોનનું ૧૫ મિનિટનું રેકોર્ડિંગ લઈને સ્કોટલેન્ડ યાર્ડ પાસે ગયા હતા, પરંતુ જજીસ અને રાજકારણીઓને સંડોવતા આક્ષેપોની તપાસ કરવાનો તેમણે ઈનકાર કર્યો હતો. દરમિયાન, ૩૦ વર્ષ પૂર્વે વિશાલ હત્યા કેસની તપાસ કરનાર મેટ્રોપોલિટન પોલીસના મહિલા ડિટેક્ટિવ જેકી મેલ્ટોને પણ તપાસમાં ઢાંકપિછોડો થયો હોય શકે તેવો ભય વ્યક્ત કર્યો હતો. આ કેસ કદી ઉકેલાયો ન હતો.
વિશાંબર મેહરોત્રાનો પુત્ર વિશાલ ૨૯ જુલાઈ, ૧૯૮૧ના રોજ પ્રિન્સ ઓફ વેલ્સ અને ડાયેના સ્પેન્સર લગ્ન કરવા બગીમાં ગયાં તે જોઈને ઘેર પાછો ફરી રહ્યો હતો ત્યારે તેનું અપહરણ કરાયું હતું. ઉચ્ચ હોદ્દાઓ પર બેસતા જજીસ અને રાજકારણીઓ જેવા બાળ શોષણખોરો વિશાલનું અપહરણ કરીને સાઉથ-વેસ્ટ લંડનના બાર્નેસમાં એલ્મ ગેસ્ટહાઉસ લઈ ગયા હોવાની શક્યતા દર્શાવતો એક ટેલિફોન કોલ વિશાંબરને આવ્યો હતો.
મેટ્રોપોલિટન પોલીસે બાર્નેસના ગેસ્ટ હાઉસ સાથે સંકળાયેલી સંભવિત હત્યાની તપાસ હાથ ધરાયાની જાહેરાત ગત સપ્તાહે કરી હતી. સેક્સ ગેઈમ દરમિયાન ગુંગળાવીને મારી નંખાયેલા બાળક સહિત ત્રણ બાળકોની હત્યા નજરે જોયાનું એક સાક્ષીએ જણાવ્યા પછી આ નવી તપાસ શરૂ થઈ છે. સ્કોટલેન્ડ યાર્ડમાંથી નિવૃત થયેલાં ડિટેક્ટિવ જેકી મેલ્ટોને જણાવ્યું હતું કે તત્કાલીન શક્તિશાળી રાજકારણીઓ દ્વારા ૧૯૮૧માં વિશાલની હત્યાની તપાસમાં ઘાલમેલ કરાઈ હોઈ શકે. તેમણે ધ ટેલિગ્રાફને જણાવ્યું હતું કે, ‘મારાં સમયમાં સત્તાનો દુરુપયોગ થયાની પ્રબળ લાગણી હતી. શક્તિશાળી લોકો હંમેશા પોતાની સત્તાની શેખી મારતા રહેતા હતા.