• બ્રાઇટનનો જેહાદી હવાઈહુમલામાં મોતને ભેટ્યોઃ બ્રાઈટનનો ૧૯ વર્ષીય ટીનેજર ઈબ્રાહીમ કામારા સીરિયા પર યુએસના હવાઈ હુમલામાં મોતને ભેટનારો પ્રથમ બ્રિટિશ જેહાદી બન્યો છે. ૨૩ સપ્ટેમ્બરની રાત્રે સીરિયાના બીજા નંબરના મોટા શહેર અલેપ્પો પર હવાઈ બોમ્બ હુમલામાં મોતને ભેટેલાં પાંચ બ્રિટિશરોમાં ઈબ્રાહીમ પણ હતો. આ જેહાદીઓ અલ-કાયદાની એક શાખા જબાત અલ-નુસરા સાથે સંકળાયેલા હતા. તેની માતા ખદીજાહ કામારાએ કહ્યું હતું કે ઈબ્રાહીમ સામાન્ય છોકરો હતો, જેણે કદી ઉદ્દામવાદની નિશાની દર્શાવી ન હતી.
• ઈરાકમાં બોમ્બ કાવતરું, બ્રિટિશર સામે આરોપઃ સાત વર્ષ અગાઉ ઈરાકમાં સાથી દળોના સભ્યોની હત્યાના કાવતરા બદલ અનીસ આબિદ સરદારને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર કરાયો હતો. નોર્થવેસ્ટ લંડનના વેમ્બલીના નિવાસી અનીસની ધરપકડ પોલીસે કરી હતી. આ યોજનામાં સજ્જાદ નબિલ સાલીહ અલ એસ અદનાન પણ સંકળાયો હતો. ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા સ્કોટલેન્ડ યાર્ડના કાઉન્ટર-ટેરરિસ્ટ નિષ્ણાતોને સંબંધિત પૂરાવામાં સહભાગી બનાવ્યાં હતા.
• અબુ કતાદા ત્રાસવાદી ષડયંત્રમાંથી મુક્તઃ ઉદ્દામવાદી ઈસ્લામિક ઉપદેશક અબુ કતાદાને જોર્ડનની કોર્ટે ત્રાસવાદી હુમલાઓનાં ષડયંત્રમાં મુક્ત જાહેર કર્યા છે. તેની સામે પૂરાવાઓ અપૂરતાં હોવાનું કોર્ટે જણાવ્યું હતું. આઠ વર્ષના કાનૂની યુદ્ધ પછી જોર્ડનમાં ત્રાસવાદના આરોપોનો સામનો કરવા કતાદાનું બ્રિટનથી પ્રત્યાર્પણ કરાયું હતું. જોકે, હોમ સેક્રેટરી થેરેસા મેએ સ્પષ્ટ કર્યું હતું કે કતાદા યુકેમાં પાછો નહિ ફરી શકે. અબુ કતાદા રાષ્ટ્રીય સલામતીને જોખમરુપ હોવાનું યુકેની અદાલતોએ સ્પષ્ટ કરેલું જ છે.
• શરાબપાન કર્યું તો ટ્રાવેલ ઈન્સ્યુરન્સ ક્લેઈમનું નાહી નાખોઃ રજાઓ માણવા ગયેલા લોકોને અકસ્માત થાય કે બીમાર પડે ત્યારે તેમના ટ્રાવેલ ઈન્સ્યુરન્સના ક્લેઈમ્સ માત્ર બે આલ્કોહોલિક ડ્રિન્ક લીધાં હોવાના કારણે નકારી દેવાય છે. દક્ષિણ વિસ્તારના ગ્રાહકો રજાઓ માણવા જતી વખતે સૌથી વધુ શરાબપાન કરતા હોય છે. આવા લોકો શરાબપાનનો ખરાબ ઈતિહાસ ધરાવતા હોવાનું કારણ પણ વીમા કંપનીઓ આગળ ધરી દે છે. ગ્રાહકોની ફરિયાદો પર લવાદી નિર્ણય આપતી ધ ફાઈનાન્સિયલ ઓમ્બડ્ઝ્મેન સર્વીસે ચેતવણી આપી છે કે વીમા કંપનીઓ ક્લેઈમ્સની ચૂકવણી કરવામાંથી છટકી જવા ‘આલ્કોહોલ એબ્યુઝ’ના આક્ષેપો ગ્રાહકો સામે કરતી રહે છે.