સ્કોટિશ બહુમતી યુકે સાથે રહેવા માગે છે

Monday 20th March 2017 10:30 EDT
 
 

લંડનઃ સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સ્કોટિશ આઝાદી માટે બીજો રેફરન્ડમ યોજવાનો સંકેત આપ્યો હતો પરંતુ, ચાર પોલ્સમાં બહુમતી સ્કોટિશ લોકો યુકે સાથે જોડાઈ રહેવા માગતા હોવાનું બહાર આવતા તેમણે પીછેહઠ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્કોટલેન્ડ સંપૂર્ણપણે ઈયુમાં નહિ રહે તે સ્વીકારવાની તૈયારી પણ તેમણે દર્શાવી હતી. બે તૃતીઆંશ સ્કોટિશ ઈયુ બ્લોકની સત્તા ઘટાડવા માગે છે અથવા યુકે તેમાંથી બહાર નીકળે તેમ ઈચ્છે છે. વડા પ્રધાન થેરેસા મેએ ચેતવણી આપી હતી કે સ્કોટલેન્ડ આઝાદીની તરફેણમાં મત આપશે તો પણ ઈયુને છોડી દેશે.

થેરેસા મેએ ભારપૂર્વક કહ્યું હતું કે રેફરન્ડમનું આયોજન સ્કોટલેન્ડને બ્રસેલ્સ ક્લબમાં રહેવા દેશે તેવી શક્યતા જ નથી. સ્કોટલેન્ડની આઝાદી, યુકે સાથે અથવા ઈયુ સાથે તે જોડાણ સહિતના મુદ્દાઓ પર યોજાએલા ચાર પોલ્સના તારણોએ નિકોલા સ્ટર્જનને ભારે આંચકો આપ્યો છે. જો રેફરન્ડમ યોજાય તો તેમની હાર થવાનું નિશ્ચિત જણાય છે. વિવિધ સર્વેના તારણોએ જણાવ્યું છે કે નોંધપાત્ર સ્કોટિશ બહુમતી યુકેમાં રહેવાની અને બ્રેક્ઝિટ અગાઉ જનમત નહિ યોજવાની તરફેણ કરે છે.

સ્કોટિશ ડેઈલી મેલના અભ્યાસ અનુસાર ૫૩ ટકા લોકોએ યુકેમાં રહેવાની તરફેણ કરી હતી, જ્યારે ૪૬ વિરુદ્ધ ૪૧ ટકાએ બ્રેક્ઝિટ અગાઉ જનમતનો વિરોધ કર્યો હતો. ધ ટાઈમ્સ માટે યુગવના પોલમાં ૫૭ વિરુદ્ધ ૪૩ ટકાએ આઝાદીની તરફેણ કરી હતી. ધ સન માટે કોમરેસ સંશોધનમાં જણાયું હતું કે માત્ર ૨૫ ટકા જ આઝાદ સ્કોટલેન્ડની તરફેણમાં છે, જ્યારે ૫૮ ટકાએ આઝાદીનો વિરોધ કર્યો હતો અને ૧૭ ટકા લોકો અનિર્ણાયક હતા.

દરમિયાન, વાર્ષિક સ્કોટિશ સોશિયલ એટિટ્યુડ્સ સર્વેમાં યુરોપ તરફ શંકાશીલતાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જણાયો હતો. બ્રસેલ્સ પોતાની સત્તા ઘટાડે અથવા યુકે ઈયુમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જાય તેમ બે તૃતીઆંશ સ્કોટિશ લોકો ઈચ્છે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter