સ્વૈચ્છિક રીતે યુકે છોડનારા માઇગ્રન્ટ્સને 4 વર્ષમાં 53 મિલિયન પાઉન્ડ ચૂકવાયાં

વોલન્ટરી રિટર્ન સ્કીમ અંતર્ગત 2024માં 915 ભારતીય ભારત પરત ફર્યાં

Tuesday 10th June 2025 11:42 EDT
 
 

લંડનઃ છેલ્લા 4 વર્ષમાં યુકે દ્વારા દેશ છોડી જવા માટે માઇગ્રન્ટ્સને 53 મિલિયન પાઉન્ડ ચૂકવાયાં છે. સરકાર દ્વારા ચલાવાઇ રહેલી વોલન્ટરી રિટર્ન સ્કીમ અંતર્ગત જો કોઇ માઇગ્રન્ટ તેના દેશ પરત જવા તૈયાર થાય તો તેને 3000 પાઉન્ડ ચૂકવવામાં આવે છે. આ માટે તેને ફ્લાઇટનું ભાડું પણ ચૂકવાય છે.

તાજેતરના વર્ષોમાં આ રીતે વતનના દેશમાં પરત જતા માઇગ્રન્ટ્સની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. 2024માં 6799 માઇગ્રન્ટ્સ વતનના દેશમાં પરત ફર્યાં હતાં. 2022માં આ આંકડો 2179 હતો. 2021થી 2024 વચ્ચે 13637 માઇગ્રન્ટ્સે આ યોજનાનો લાભ લીધો હતો.

જે માઇગ્રન્ટ વિકાસશીલ દેશમાં પરત ફરે, રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ ગયો હોય, મોર્ડન સ્લેવરીનો પીડિત હોય તેમને આ યોજનાનો લાભ અપાય છે. 2024માં આ યોજના સ્વીકારનાર સૌથી વધુ 3573 બ્રાઝિલના નાગરિક હતા. બીજા ક્રમે 915 ભારતીય નાગરિકો આ યોજના અંતર્ગત ભારત પરત ફર્યાં હતાં.

હોમ ઓફિસનું માનવું છે કે સ્વૈચ્છિક રીતે વતનના દેશમાં પરત ફરવાની આ યોજના દ્વારા સરકારના અન્ય ખર્ચ બચી જાય છે.

હોમ ઓફિસના છબરડાના કારણે દેશનિકાલની ખોટી નોટિસો અપાઇ

હોમ ઓફિસના છબરડાઓના કારણે ઘણા રાજ્યાશ્રયવાંચ્છુઓને ખોટી રીતે દેશનિકાલની નોટિસો અપાઇ છે. આ છબરડાના કારણે મોટી સંખ્યામાં રાજ્યાશ્રયવાંચ્છુઓને અપાતી આર્થિક સહાય પણ બંધ થઇ ગઇ છે. આ છબરડાના કારણે રાજ્યાશ્રયવાંચ્છુઓમાં ભય ફેલાયો છે કે તેમને તેમના વતનના દેશમાં પરત મોકલી દેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter