લંડનઃ યુકેના યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બહુમતી બ્રિટિશરોએ એક પોલમાં ઈયુ સાથે જોડાયેલા રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ઈયુમાં રહેવા ઈચ્છતા લોકો માને છે કે બ્રેક્ઝિટથી અર્થતંત્ર, NHS, યુકેની એકતા અને વૈશ્વિક દરજ્જાને નુકસાન થશે. ઘણા લોકો એમ પણ માને છે કે યુકે લગભગ એક દસકામાં ફરી ઈયુ સાથે જોડાઈ જશે અને તેમણે આ મુદ્દે સેકન્ડ રેફરન્ડમની તરફેણ કરી હતી.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેને ઈયુમાંથી બહાર લાવવા ૩૧ જાન્યુઆરીની તારીખ નિશ્ચિત કરી છે ત્યારે BMG સર્વેમાં બાવન ટકા મતદારે ઈયુમાં રહેવાની અને ૪૮ ટકાએ ઈયુ છોડવાની તરફેણ કરી છે. નવાઈની વાત એ છે કે ૨૦૧૬ના રેફરન્ડમના પરિણામથી આ તદ્દન વિપરીત વલણ છે.
બ્રેક્ઝિટ પછી તેમની હાલત ખરાબ થશે તેમ માનનારા ૨૯ ટકા છે જ્યારે ૧૫ ટકા માને છે કે તેમની નાણાકીય હાલતમાં સુધારો આવશે. દસમાંથી ચાર કરતાં વધુ લોકોએ આગામી દસકામાં ઈયુ સાથે ફરી જોડાવાના મુદ્દે જનમતની તરફેણ કરી છે, જ્યારે ૧૮ ટકાએ એક જ વર્ષની અંદર, ૧૫ ટકાએ એકથી પાંચ વર્ષમાં અને નવ ટકાએ છથી ૧૦ વર્ષમાં સેકન્ડ રેફરન્ડમની તરફેણ કરી હતી. જોકે, ૧૦ ટકા મતદારે ૧૦ કરતા વધુ વર્ષ ન વીતે ત્યાં સુધી સેકન્ડ રેફરન્ડમનો મુદ્દો ફગાવ્યો હતો જ્યારે ૨૮ ટકાએ હવે આ મુદ્દે જનમત ન યોજવાનું વલણ દર્શાવ્યું હતું.
આ પોલમાં ૧૫૦૦થી વધુ બ્રિટિશરોનો મત જાણવાની કવાયત થઈ હતી જેમાં, માત્ર ૧૧ ટકાએ ૨૦૨૦ના અંતે વેપારસોદા વિના ઈયુ છોડવાની તરફેણ કરી હતી. ૩૯ ટકા લોકો વેપાર સમજૂતી કરવા માગતા હતા અને ૨૭ ટકાએ યુકે સિંગલ માર્કેટમાં સભ્યપદ ધરાવે તેવી ઈચ્છા દર્શાવી હતી.
દરમિયાન, આયર્લેન્ડના ડેપ્યુટી પ્રીમિયર સાઈમોન કોન્વેનીએ જણાવ્યું હતું કે યુકેની પાર્લામેન્ટે વાટાઘાટોને લંબાવવાને અટકાવતું નિયંત્રણ રાખ્યું હોવા માત્રના કારણસર જ યુકે સાથે ભાવિ સંબંધોની સમજૂતી બાબતે ઈયુએ ઉતાવળ કરવાની જરૂર નથી.