લંડનઃ બેન્કોએ કૌભાંડીઓ કે ઠગોને નાણા ટ્રાન્સફર કરનારા ફ્રોડ વિક્ટિમ્સને નાણા ફરજિયાત રિફન્ડ કરવા પડે તેવી ક્રાંતિહારી યોજનાને સરકારે ટેકો આપ્યો છે. બેન્કિંગ વોચડોગ પેમેન્ટ્સ સિસ્ટમ્સ રેગ્યુલેટર ઈચ્છે છે કે કૌભાંડીઓનો શિકાર બનેલા કસ્ટમર્સને નાણાકીય વળતર મળવાનું ફરજિયાત હોવું જોઈએ. ટ્રેઝરીના ઈકોનોમિક સેક્રેટરી જ્હોન ગ્લેનના જણાવ્યા અનુસાર સરકાર રેગ્યુલેટરી એક્શનમાં અવરોધોને દૂર કરવા વહેલી તકે કાયદા બનાવવા માગે છે. આનો અર્થ એ થાય કે છેતરપિંડીનો શિકાર બનેલા લોકોને તેમના નાણા પરત મેળવવાની તક વધી જશે. કન્ઝ્યુમર ગ્રૂપ Which? દ્વારા આ જાહેરાતને ગ્રાહકોના મોટા વિજય તરીકે વધાવી લેવામાં આવી છે.
આ નિયમો તથાકથિત ‘ઓથોરાઈઝ્ડ પુશ પેમેન્ટ ફ્રોડ’ને લાગુ પડશે જેમાં, અપરાધીઓ ગ્રાહકોને તેમના બેન્ક એકાઉન્ટ્સમાંથી નાણા ટ્રાન્સફર કરવા સમજાવે છે. આવા કૌભાંડથી બ્રિટિશરોને દર વર્ષે ૫૦ મિલિયન પાઉન્ડનો ફટકો વાગે છે. કોરોના મહામારીમાં આવા ફ્રોડના કેસીસની સંખ્યા ઘણી વધી હતી. કાયદા ઘડનારાઓએ ૨૦૧૯માં વોલન્ટરી કોડ ઓફ કન્ડક્ટ ઓન રિફન્ડ્સ સહિત સુરક્ષાના કેટલાક પગલા મૂકવાના પ્રયાસો કર્યા હતા જેમાં, બેન્કો ફ્રોડને અટકાવવા યોગ્ય પગલાં લઈ શકી હોત તેવી સ્થિતિમાં ગ્રાહકોને રિફન્ડ આપવાનું હતું. બધી બેન્કોએ આચારસંહિતા અપનાવી ન હતી. ઘણી બેન્કોએ કાયદેસર ક્લેઈમ્સ પણ ફગાવી દીધા હતા. આ વોલન્ટરી કોડથી ગ્રાહકોને માત્ર ૩૧૦ મિલિયન પાઉન્ડની રકમ મળી હતી.