લંડનઃ હિંસાગ્રસ્ત બેલફાસ્ટમાં ભારતીય મૂળની રુચિરા રંગાપ્રસાદે ભયના માર્યા ઘરની બહાર ન નીકળી શક્તા પરિવારોની મદદ માટે અનોખું અભિયાન શરૂ કર્યું હતું અને તેને વ્યાપક સમર્થન હાંસલ થયું હતું. ત્રણ વર્ષ પહેલાં ભારતથી ઉત્તર આયર્લેન્ડ આવી સ્થાયી થયેલા રુચિરા રંગાપ્રસાદે હિંસાથી પ્રભાવિત લોકોને તાજું અને ઘરે રાંધેલું ભોજન પૂરું પાડવા માટે સોશિયલ મીડિયા પર એક અપીલ કરી હતી. તેમની આ પહેલને ગણતરીના સમયમાં જ વ્યાપક સમર્થન મળ્યું હતું અને સમગ્ર શહેરમાં ભોજન પહોંચાડવા માટે ડઝનબંધ સ્વયંસેવકો આગળ આવ્યા હતા. માત્ર એક જ દિવસમાં 50થી વધુ ફૂડ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં વ્યક્તિગત સ્તરે શરૂ થયેલો આ પ્રયાસ ટૂંક સમયમાં જ એક મોટા સામુદાયિક રાહત અભિયાનમાં ફેરવાઈ ગયો હતો.
રુચિરા રંગાપ્રસાદે જણાવ્યું હતું કે, લોકો ઘરની બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે. ભોજન એ માણસની પ્રાથમિક જરૂરિયાત છે અને તે પણ ખાસ કરીને પૌષ્ટિક અને ઘરે રાંધેલું ભોજન... તેથી જ મેં વિચાર્યું કે મારે રસોઈ બનાવીને લોકોને ખવડાવવું જોઈએ.
સોશિયલ મીડિયા પર રુચિરાની હાકલ બાદ, 10 જૂનના રોજ એક જ દિવસમાં 30થી વધુ સ્વયંસેવકો આ અભિયાનમાં જોડાયા હતા. તેમણે જરૂરિયાતમંદો માટે ભોજન તૈયાર કરવા અને તેના વિતરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


