લંડનઃ યુકેમાં કોરોના વાઈરસ લોકડાઉન હોવાં છતાં દરરોજ ઓછામાં ઓછાં ૧૫,૦૦૦ લોકો યુકેમાં વિમાની ઉડ્ડયન મારફત એરપોર્ટ્સ પર આવી રહ્યા છે અને તેમનું કોરોના વાઈરસ પરીક્ષણ પણ કરાતું નથી. બીજી તરફ, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક કહે છે કે રોગચાળા પર આ લોકોની અસર નહિવત્ હોવાથી પરીક્ષણોની જરુર નથી.
યુકેમાં દરરોજ ઓછામાં ઓછાં ૧૫,૦૦૦ લોકોનું એરપોર્ટ્સ પર આગમન થઈ રહ્યું છે અને આ લોકો કોઈ પરીક્ષણો વિના જ દેશમાં પ્રવેશ મેળવે છે. કોરોના કટોકટી આરંભાયા પછી બ્રિટિશરોને ખાસ કામકાજ વિના પ્રવાસ ખેડવાની મનાઈ કરવામાં આવી છે પરંતુ, મિનિસ્ટર્સ દેશના એરપોર્ટ્સ બંધ કરવા તૈયાર નથી. અન્ય રુટ્સ અસરકારકપણે બંદ કરાયા છે ત્યારે હીથ્રો એરપોર્ટ પર લોકો ઉતરે છે. વિશ્વના અન્ય દેશોમાં ટ્રાન્સપોર્ટ સંપર્ક કાપી નાખવામાં આવ્યો છે તેમ બ્રિટનમાં કરવાની જરુર હોવાનું એક પોલમાં બહાર આવ્યું છે. લોકો આવા સંપર્કને કાપવાની ભારે તરફેણ કરી રહ્યા છે.
જોકે, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકના કહેવા મુજબ દેશમાં આવતા લોકોથી પરિસ્થિતિમાં ખાસ ફેર પડવાનો નથી કારણકે દેશમાં રોગચાળો ફેલાયેલો જ છે. એક ઈન્ટર્વ્યૂમાં હેનકોકે એરપોર્ટ્સ પર કોરોના પરીક્ષણો નહિ કરાતા હોવાનું સ્વીકાર્યું હતું કારણકે આવનારા લોકોની સંખ્યા નોંધપાત્રપણે ઘટી ગઈ છે. આવનારા લોકોની સંખ્યા વિશેના પ્રશ્ને તેમણે અંદાજે રોજના ૧૫,૦૦૦નો આંકડો જણાવ્યો હતો. બીજી તરફ, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ કડક સરહદી નિયંત્રણોનું દબાણ કરી રહ્યાં છે પરંતુ, ફોરેન ઓફિસ વિદેશમાં અટવાયેલા બ્રિટિશરોને પરત લાવવાના અંશતઃ કારણસર ચેનલ્સ ખુલ્લી રાખવાની તરફેણ કરે છે.
હીથ્રો મેનેજમેન્ટ અનુસાર એપ્રિલમાં પેસેન્જર ટ્રાફિક ૯૦ ટકા ઘટવાની ધારણા છે. મોટા ભાગે વિદેશમાં બ્રિટિશરોને લાવવા સુધી ફ્લાઈટ્સ મર્યાદિત રહેશે. હાલ તો માત્ર કાર્ગો ફ્લાઈટ્સ પર જ ધ્યાન કેન્દ્રિત કરાય છે. કોરોના કટોકટી અગાઉ, પેસેન્જર વિમાનોના હોલ્ડમાં મોટા ભાગના કાર્ગોનું પરિવહન કરાતું હતું.