લંડનઃ હૈદરાબાદના નિઝામના વંશજો યુકેના બેન્ક એકાઉન્ટમાં રહેલા ૩૫ મિલિયન પાઉન્ડથી વધુના ફંડ સંદર્ભે કોર્ટના આદેશને પડકારવા ૨૨ જુલાઈ બુધવારે લંડન હાઈ કોર્ટમાં પહોંચ્યા છે. આ કેસમાં નવા નાટ્યાત્મક વળાંકમાં સાતમા નિઝામના અન્ય ૧૧૬ વારસદારો વતી નજફ અલી ખાને સાતમા નિઝામની એસ્ટેટના વહીવટદાર સામે વિશ્વાસભંગના આક્ષેપ સાથે ચુકાદાને પડકાર્યો છે.
આ વિવાદના કેન્દ્રમાં ૧૯૪૮માં તત્કાલીન હૈદરાબાદના નિઝામે નવા રચાયેલા પાકિસ્તાનના બ્રિટનસ્થિત હાઈ કમિશનરને ટ્રાન્સફર કરેલા ૧,૦૦૭,૯૪૦ પાઉન્ડ અને નવ શિલિંગની રકમ છે. લંડનની બેન્કમાં મૂકાયેલી આ રકમ વધીને ૩૫ મિલિયન પાઉન્ડથી વધુ થઈ હતી. ભારતના ટેકા સાથે નિઝામના બે વંશજોએ આ રકમ પર દાવો કર્યો હતો તેની સામે પાકિસ્તાને પણ દાવો કર્યો હતો. ઓક્ટોબર ૨૦૧૯માં લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસે ભારત અને આઠમા નિઝામ અને તેમના ભાઈની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. ૧૯૪૭ના વિભાજન સમયે હૈદરાબાદના સાતમા નિઝામના ફંડ્સ મુદ્દે પાકિસ્તાન વિરુદ્ધ દાયકાઓ જૂના કાનૂની વિવાદમાં ભારત અને નિઝામના બે વંશજ વચ્ચે ગુપ્ત સમજૂતી સધાઈ હતી.
ભારતમાંથી વીડિયોથી હાજરી આપતા નજફ અલી ખાને કોર્ટને જણાવ્યું હતું કે નિઝામનું ભંડોળ ભારત અને બે પ્રિન્સ- પ્રિન્સ મુકર્રમ જાહ અને નાના ભાઈ પ્રિન્સ મુફર્ખમ જાહને અયોગ્ય રીતે આપી દેવાયું છે. તેમણે નાણાકીય મુશ્કેલીમાં હોવાની રજૂઆત કરી હતી.
જજ સ્મિથે આ કેસ ફરી ખોલવાના ખાનના પ્રયાસને ફગાવતા કહ્યું હતું કે, ‘મેં ૨૦૧૯ના ચુકાદામાં નાણાની લાભકારી માલિકીનો નિર્ણય કર્યો હતો. હવે કાર્યવાહી ફરી ખોલાવવા તેને અધિકાર હોવાનું સ્વીકારી શકાય નહિ.’ જોકે, નિઝામ સાતમાના વહીવટદાર દ્વારા અનુચિતતા અને વિશ્વાસભંગના આક્ષેપો મુદ્દે જજ બુધવાર અને ગુરુવારે દલીલો સાંભળશે. કુલ ફંડમાંથી ભારત અને બે પ્રિન્સને પેમેન્ટ કરાયા પછી પણ હજુ વહીવટદાર પાસે અંદાજે ૪૦૦,૦૦૦ પાઉન્ડની રકમ છે.