લંડનઃ સર એલન બેટ્સે પોસ્ટ ઓફિસ વળતર યોજનાની નવેસરથી શરૂઆત કરવાની માગ કરી છે. વળતર ચૂકવવામાં વિલંબ અને અયોગ્ય કર્મચારીઓ દ્વારા વળતરના દાવાઓનું કામ કરાતું હોવાનો પણ આરોપ મૂકાઇ રહ્યો છે. એવો પણ આરોપ મૂકાયો છે કે પોસ્ટ ઓફિસના રિમિડિએશન યુનિટમાં એવા કર્મચારીઓ કામ કરી રહ્યાં છે જે હોરાઇઝન સ્કેન્ડલ સાથે સંકળાયેલા હતા.
પૂર્વ સબ પોસ્ટમાસ્ટર પીટર વેરેચિયાએ આ પ્રકારના પાંચ કર્મચારીની ઓળખ કરી છે. તેમનું માનવું છે કે પોસ્ટ ઓફિસમાં કામ કરવાના તેમના ભૂતકાળના કારણે તેઓ આ યુનિટમાં હોવા જોઇએ નહીં.
વળતરના દાવામાં નિર્ણય લેવા માટે સરકાર એમ્પોલયેન્ટની માહિતી મેળવવા માટે આ યુનિટ પર આધાર રાખી રહી છે. વેરેચિયા કહે છે કે પોસ્ટ ઓફિસના કલ્ચરમાં જરાપણ બદલાવ જોવા મળી રહ્યો નથી. તેઓ અમે કશું કરી શક્તાં નથી કે અમે આ અંગે કાંઇ જાણતા નથી તેવા ઉડાઉ જવાબ જ આપી રહ્યાં છે.
યુનિટ દ્વારા થઇ રહેલા વિલંબ સામે સર એલન બેટ્સે ચેતવણી આપી છે કે સરકારે વળતર યોજનાનું નેતૃત્વ કરવું જોઇએ નહીં. સરકારે વળતરની ચૂકવણીનું કામ સ્વતંત્ર સંસ્થાને સોંપવું જોઇએ.