હોરાઇઝન સ્કેન્ડલના પીડિતોને 5000 પાઉન્ડનું વળતર ચૂકવાશે

જૂન 2024માં અકસ્માતે જે પીડિતોના નામ જાહેર થઇ ગયાં હતાં તેમને વળતર આપવા પોસ્ટ ઓફિસની જાહેરાત

Tuesday 20th May 2025 12:00 EDT
 

લંડનઃ જૂન 2024માં અકસ્માતે હોરાઇઝન આઇટી સ્કેન્ડલનો ભોગ બનેલા સેંકડો સબ પોસ્ટમાસ્ટરોના નામ અને સરનામા જાહેર થઇ જવા માટે પોસ્ટઓફિસ વળતર ચૂકવશે. અખબારી અહેવાલ અનુસાર પોસ્ટ ઓફિસ મહત્તમ 5000 પાઉન્ડની મર્યાદામાં વળતર ચૂકવવાની છે. એક વર્ષ પહેલાં હોરાઇઝન આઇટી સ્કેન્ડલના 555 પીડિતની અંગત વિગતો વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી દેવાઇ હતી.

પોસ્ટ ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું છે કે પીડિતનું જાહેર કરાયેલું સરનામુ હાલનું છે કે કેમ તેના આધારે 5000 પાઉન્ડ અથવા તો 3500 પાઉન્ડનું વળતર ચૂકવાશે. અમે આ અંગે તેમને સીધી અથવા તો તેમના સોલિસિટર દ્વારા જાણ કરી છે.

પોસ્ટ ઓફિસે જણાવ્યું હતું કે, ગયા વર્ષે થયેલી આ ભૂલના કારણે જેમના પણ નામ જાહેર થઇ ગયાં હતાં અને હજુ તેમને વળતર અંગે માહિતી મળી નથી તો તેઓ સીધો અમારો સંપર્ક કરી શકે છે અથવા તો તેમના સોલિસિટરને જણાવી શકે છે.

કાયદા કંપની ફ્રીથ્સે જણાવ્યું છે કે જેમની માહિતી જાહેર થઇ છે તે પૈકીના 348 ક્લાયન્ટને વળતર ચૂકવી દેવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter