લંડનઃ યુકેમાં કોરોના રોગચાળો ફેલાઈને ટોચે પહોંચ્યા પછી કોરોના વાઈરસના કારણે હોસ્પિટલોમાં એડમિશનની સંખ્યા અડધી થઈ હોવાનું NHS ના ચીફ એક્ઝિક્યુટિવ સર સિમોન સ્ટીવન્સે જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે ઈન્ફેક્શન્સ ટોચ પર હતા ત્યારે હોસ્પિટલોમાં રોજ ૧૯,૦૦૦ પેશન્ટ્સની સારવાર કરાતી હતી તે હવે લગભગ અડધી ઘટીને દૈનિક ૯,૦૦૦ થઈ છે અને હોસ્પિટલોમાં એડમિશન્સની સંખ્યામાં દર સપ્તાહે ૨,૦૦૦નો ઘટાડો થઈ રહ્યો છે. આમ છતાં, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આપણે હજુ ઘોર જંગલમાંથી બહાર આવ્યા નથી.
NHSના વડા સ્ટીવન્સે જણાવ્યું હતું કે કોરોના માટે હોસ્પિટલોની સારવારની માગ ઘટી છે એટલે અન્ય બીમારીઓ માટે મદદ મેળવવામાં વિલંબ કરવો ન જોઈએ. હોસ્પિટલોનો સ્ટાફ ઈંગ્લેન્ડમાં રોજના ૯,૦૦૦થૂ વધુ કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે, જે સંખ્યા થોડા સપ્તાહો અગાઉ દૈનિક ૧૯,૦૦૦ની હતી. હોસ્પિટલોમાં પ્રવેશની સંખ્યા પણ સપ્તાહે ૨,૦૦૦ જેટલી ઘટી રહી છે. આપણે હજુ ઘોર જંગલમાંથી બહાર આવ્યા નથી તેમ કહેતા તેમણે ઉમેર્યું હતું કે સખત મહેનત, કાળજીપૂર્વવકની તૈયારીઓ અને લોકોની પોતાની કામગીરીએ જ NHSના ૭૧ વર્ષના ઈતિહાસમાં સૌથી મોટા પડકાર હેઠળ ભાંગી પડે નહિ તેની ચોકસાઈ રાખી છે.
દરમિયાન, કોરોના મૃત્યુઆંક વધીને ૩૩,૯૯૮ થયો ત્યારે હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું છે કે તમામ રીતે મૃત્યુની સંખ્યા રોજ ઘટી રહી છે. યુકે હવે કોરોના ટોચમાંથી બહાર નીકળી ગયું છે. હોસ્પિટલોમાં ગત સપ્તાહે કોવિડ-૧૯ની સંખ્યા હતી તેની સરખામણીએ ૧૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોએ પણ સહમતિ દર્શાવી હતી કે એક સપ્તાહ અગાઉ દૈનિક મૃતાંક ૬૨૬ અને પાંચ સપ્તાહ અગાઉ ૧,૧૫૨ હતો તેની સરખામણીએ ભારે ઘટાડો થયો છે. ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટની SAGE પેનલના નિષ્ણાતો પણ જણાવે છે કે ઈન્ફેક્શનના ટ્રાન્સમિશનનો દર ‘R’ ૦.૭થી ૧ની વચ્ચે આવ્યો છે. ૧થી વધુ આંક કેસીસમાં ફરી ઉછાળો સૂચવે છે.