લંડનઃ યુકેમાં લોકોને ક્વોરેન્ટાઈન થવાની સૂચના (pinged) આપતી NHS કોવિડ-૧૯ એપથી ભારે અરાજકતા સર્જાઈ છે અને તેને ‘પિન્ગડેમિક’ નામ અપાયું છે. યુકેમાં ડેલ્ટા સહિત કોરોના વેરિએન્ટ્સથી કેસીસની સંખ્યા ૫૦,૦૦૦થી વધુને પાર થઈ છે ત્યારે પિન્ગ કરાયેલા ૧.૭ મિલિયનથી વધુ બ્રિટિશરોને દર સપ્તાહે ઘરમાં રહેવા જણાવાય છે. આની સીધી અસર બિઝનેસીસ પર થઈ રહી છે જેના પરિણામે, દેશભરમાં માંસ સહિતના ખાદ્યપદાર્થોની અછત સર્જાવાના એંધાણ દેખાયા છે અને ઈંગ્લેન્ડનું અર્થતંત્ર પેરેલાઈઝ્ડ થઈ જવાની ચેતવણી પણ અપાઈ છે.
NHS કોવિડ-૧૯ એપથી દ્વારા લાખો લોકોને ક્વોરેન્ટાઈન થવાની સૂચના અપાય છે ત્યારે મીટ ઈન્ડસ્ટ્રીએ દાવો કર્યો છે કે તેના વર્કર્સને ક્વોરેન્ટાઈન થવામાંથી મુક્તિ અપાઈ છે. સત્તાવાર આંકડા અનુસાર કોવિડ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન થવાની સૂચના અપાય છે અને ૫,૨૦૦ જેટલા લશ્કરી કર્મચારી-જવાનો ફરજ પર હાજર થયા નથી. મીટ પ્રોસેસર્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર કતલખાનાઓએ તેમની પ્રોડક્ટ લાઈન્સને તર્કસંગત બનાવવી પડશે. ‘આઝાદી દિન’ પછી રોજના કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૦૦,૦૦૦ને પાર થવાની ચેતવણી છે ત્યારે રોજના આશરે ૫૦૦,૦૦૦ લોકોએ સેલ્ફ આઈસોલેશનમાં જવું પડે તેવી શક્યતા જણાય છે.
બીજી તરફ, સંપૂર્ણ વેક્સિન અપાયેલા તબીબી પર્સોનેલ્સને પિન્ગિંગ ક્વોરેન્ટન્ટાઈનમાંથી મુક્તિ આપવાની રોયલ કોલેજ ઓફ એનેસ્થેટિસ્ટ્સ એન્ડ ફેકલ્ટી ઓફ ઈન્ટેન્સિવ મેડિસીન દ્વારા માગણી કરાઈ છે. કેટલાક NHS ટ્રસ્ટ્સમાં સ્ટાફની એટલી તંગી છે કે પિંગ કરાયેલા ડોક્ટર્સ અને નર્સીસે વેક્સિનના બે ડોઝ લીધા હોય તો તેમને કામ કરવાની છૂટ અપાઈ છે.
જુલાઈના પ્રથમ સપ્તાહમાં જ કોરોના વાઈરસ પોઝિટિવ કેસના સંપર્કમાં આવ્યા હોય તેવા આશરે ૯૦૦,૦૦૦ લોકોને ક્વોરેન્ટાઈન થવાના એલર્ટ સંદેશા કોવિડ એપ દ્વારા મોકલાયા હતા. આવી અરાજકતાના પરિણામે, હોસ્પિટલોએ ઓપરેશન્સ રદ કરવા પડ્યા હતા, ફેક્ટરીઓએ શિફ્ટ્સ રદ કરવી પડી હતી અને કેટલીક કાઉન્સિલ્સે નાગરિકોને સૂચના આપી હતી કે તેમના કચરાના બિન્સ લેવામાં નહિ આવે. હવે પોર્ટ વર્કર્સને પિન્ગ કરાયા પછી સેલ્ફ આઈસોલેટ થવું પડશે તો સુપરમાર્કેટ્સની અભરાઈઓ ખાલી દેખાશે તેવી ચેતવણી પણ ખરીદારોને આપી દેવાઈ છે.