લંડનઃ યોર્કશાયરની મોનાસ્ટ્રીમાંથી લાપતા થયા પછી જર્મન સંગ્રહમાં જોવા મળેલી ૧૩મી સદીની જિસસની પ્રતિમાને ૨૦૦ વર્ષ પછી પરત કરવામાં આવી છે. આ દુર્લભ પ્રતિમાનું નિર્માણ લિમોજેસમાં કરાયું હતું અને તે ૧૮૨૬માં યોર્ક ઓબીના કાટમાળમાંથી મળી આવી હતી. ૧૦૦ વર્ષ સુધી લાપતા રહ્યા પછી તે ખાનગી સંગ્રહનો હિસ્સો બની હતી અને હવે તે નવા સ્વરુપે યોર્કશાયર મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાશે.
એક સમયે યોર્ક એબીની શોભા રહેલી જિસસ ક્રાઈસ્ટની ૮૦૦ વર્ષ જૂની પ્રતિમા આશરે બે સદી પછી શહેરમાં પરત આવશે. ૧૩ સદીમાં નોર્થ ઈંગ્લેન્ડમાં સૌથી ધનવાન યોર્કશાયરના સેન્ટ મેરી‘સ એબીની સજાવટ માટે ફ્રાન્સના લિમોજેસમાં નિર્મિત ૧૬ સેન્ટિમીટર લંબાઈની આ દુર્લભ પ્રતિમા મેળવાઈ હતી. જે પાછળથી ૧૮૨૬માં એબીના કાટમાળમાંથી મળી આવી હતી. બ્રિટિશ કિંગ હેન્રી આઠમા દ્વારા ૧૫૩૦ના ગાળામાં ખ્રિસ્તી મઠોનો વિનાશ કરવામાં આવ્યો તેમાંથી બચેલાં થોડી ચીજવસ્તુઓમાં આ પ્રતિમાનો સમાવેશ થાય છે. પ્રતિમાના હાથ અને પગ ખંડિત હોવાં છતાં તેનું સૌંદર્ય અકબંધ છે.
આ પ્રતિમા ૧૮૨૬થી ૧૯૨૦ના ગાળામાં ક્યાં હતી તેનો કોઈ ખુલાસો મળતો નથી. ૧૯૨૦ના દાયકામાં જર્મન સંગ્રાહકના ખાનગી સંગ્રહનો હિસ્સો બની તે અગાઉ તે ૧૦૦ વર્ષ સુધી લાપતા રહી હતી. ચકચકિત કરાયેલી આ પ્રતિમાને યોર્ક મ્યુઝિયમ ટ્રસ્ટ દ્વારા ખરીદી લેવાયા પછી તેને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.