૧૯ જુલાઈ આઝાદી દિન બનશે? શિયાળામાં ત્રીજી લહેરનું જોખમ

Tuesday 22nd June 2021 15:29 EDT
 

લંડનઃ બ્રિટિશ વિજ્ઞાનીઓએ શિયાળામાં કોરોના વાઈરસની ત્રીજી લહેર હાહાકાર મચાવી શકે તેવી ચેતવણી ઉચ્ચારી છે ત્યારે વડા પ્રધાન જ્હોન્સન, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક અને ચાન્સેલર રિશિ સુનાકે ૧૯ જુલાઈ આઝાદી દિન બની રહેશે તેવી આશા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ડેલ્ટા વેરિએન્ટના કારણે ૧૭ જૂન ગુરુવારે ગત ૪ મહિનામાં એક જ દિવસમાં સૌથી વધુ ૧૧,૦૦૪ લોકો કોરોના ટેસ્ટ પોઝિટિવ જણાયા હતા. અગાઉ, ૧૮ ફેબ્રુઆરીએ ૧૧,૯૯૪ કેસ મળી આવ્યા હતા.

સરકારની સલાહકાર સંસ્થા સાયન્ટિફિક એડવાઈઝરી ગ્રુપ ફોર ઈમરજન્સીસ (SAGE) દ્વારા ચેતવણી અપાઈ છે કે શિયાળામાં બ્રિટનમાં કોરોનાનો નવો વેરિઅન્ટ સક્રિય બની શકે છે જે, લોકો માટે મુશ્કેલીઓ સર્જી શકે છે. આ વર્ષના અંત સુધીમાં બાળકો અને વૃદ્ધો નવા વેરિઅન્ટની ઝપટમાં આવી શકે છે. આના કારણે સરકારે ફરી એકવાર લોકડાઉન લાદવાની ફરજ પડી શકે છે. SAGEના સભ્ય પ્રો. સેમ્પલે કહ્યું હતું કે, કોરોના માથું ઊંચકી શકે છે. વિન્ટર સિઝન ખતરનાક બની શકે છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નિયામક સુસાન હોપકિન્સે કહ્યું હતું કે નવો વેરિઅન્ટ આવી શકે છે પણ આપણી પાસે વેક્સિન, દવાઓ અને ટેસ્ટિંગ સુવિધા હોવાથી તેની સામે લડી શકીશું.

રસી માટે એક દિવસમાં ૭ લાખ યુવાનોની નોંધણી

NHSએ ૧૮ વર્ષથી વધુ વયના બધા જ લોકો માટે વેક્સિનેશન કાર્યક્રમ ખુલ્લો મૂકવા સાથે જ લોકોએ વેક્સિન લેવા ધસારો કર્યો છે. જાહેરાતના દિવસે ૧૮ જૂન શુક્રવારે નેશનલ બૂકિંગ સર્વિસ મારફત કુલ ૭,૨૧,૪૬૯ લોકોએ વેક્સિન લેવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આમ, પ્રત્યેક સેકન્ડે આઠથી વધુ લોકોએ વેક્સિન માટે નોંધણી કરાવી હતી. આ કાર્યક્રમ મારફત ૩ મિલિયન યુવાનો વેક્સિનનો સૌપ્રથમ ડોઝ મેળવશે. વેક્સિનની માગમાં અચાનક ઊછાળાને પહોંચી વળવા વિશાળ વેક્સિનેશન કેન્દ્રો ઊભા કરવા સ્ટેડિયમ અને ફૂટબોલ મેદાનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter