લંડનઃ નવા હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કોમન્સ સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે ૧૯ જુલાઈને દિવસ લોકડાઉન નિયંત્રણો માટે આખરી બની રહેશે અને ૫ જુલાઈએ નિયંત્રણો હટાવાશે નહિ. તેમણે કહ્યું હતું કે ૧૯ જુલાઈનો દિવસ આપણા દેશને મહાન બનાવનારા આર્થિક અને સામાજિક જીવન તરફ પાછો વાળશે. અગાઉ, વડા પ્રધાન જ્હોન્સને પણ કોરોના લોકડાઉન નિયંત્રણો ૧૯ જુલાઈ સુધી અમલી રહેશે તેમ જણાવ્યું હતું.
હેલ્થ સેક્રેટરી જાવિદે કહ્યું હતું કે સ્ટેપ-૪ને આગળ નહિ લઈ આવવાનો નિર્ણય કરાયો છે પરંતુ, જુલાઈ ૧૯થી આગળ લંબાવવું પડે તેવું કારણ નથી. સાચું કહીએ તો કોવિડ માટે શૂન્ય જોખમ ગણાય તેવી કોઈ તારીખ આપણે પસંદ કરી શકીએ નહિ. આપણે તેને નાબૂદ કરી શકીશું નહિ અને તેની સાથે રહીને જ આપણે જીવવાનું છે.
બ્રિટનમાં સોમવારે સંક્રમિત કેસીસની સંખ્યા એક સપ્તાહમાં બમણી થઈને ૨૨,૮૬૮ના આંકડે પહોંચી હતી પરંતુ, વાઈરસથી થતાં મૃત્યુમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. કોરોના વાઈરસની બીજી લહેર મંદ પડવાની શરુઆત થઈ હતી તે ૩૦ જાન્યુઆરી પછી કેસીસમાં સૌથી મોટો વધારો ગત સોમવાર, ૨૧ જૂને ૧૦,૬૩૩ કેસનો જણાયો હતો.
જાવિદે જણાવ્યું હતું કે વેક્સિન્સ ડેલ્ટા વેરિએન્ટ સહિત વાઈરસ વિરુદ્ધ કામ કરી રહી છે. તેનાથી ૨૭,૦૦૦ લોકોના જીવન બચ્યા હોવાનું તેમજ ૭ મિલિયન લોકોને કોવિડ-૧૯નું સંક્રમણ લાગતું અટક્યું હોવાનું પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડનો અભ્યાસ કહે છે. વેક્સિનના બે ડોઝ ડેલ્ટા વેરિએન્ટ સામે હોસ્પિટલમાં દાખલ થવાથી રક્ષણ આપે છે. કેસ વધ્યા હોવાં છતાં વાઈરસથી મોતમાં ઘટાડો થયો છે.