આર્ટિફિશિયલ સ્વીટનર લેવાથી સ્વાસ્થ્યને તો કોઈ લાભ થતો નથી પરંતુ, તેનાથી નુક્સાન થવાની શક્યતા નકારી ન શકાય તેમ બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિવ્યુમાં જણાવાયું હતું. તેની સામાન્ય પ્રોડક્ટ્સમાં સેકરીન, સુક્રાલોઝ અને એપર્ટેમનો સમાવેશ થાય છે. તેને અને કેન્સરને સંબંધ હોવાની શક્યતા છે. સંશોધકોએ આ બાબતે લાંબા ગાળાના અભ્યાસ જરૂરી હોવાનું જણાવ્યું હતું.
• હીટ એન્ડ રનની પીડિતાએ પોતાનો પણ વાંક ગણાવ્યો
નવા વર્ષની પૂર્વસંધ્યાએ નોર્ધન્ટ્સ, વેલિંગબરોમાં હીટ એન્ડ રન દરમિયાન બેભાન બનેલી ૨૦ વર્ષીય રાહદારી ઓલિવિયા કિને જણાવ્યું હતું કે આ ઘટનામાં થોડાક અંશે તેનો પણ વાંક હતો, કારણ કે ઘટના સમયે તે મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહી હતી. તેણે મોબાઈલ ફોનમાં જ ધ્યાન રાખીને ચાલતા અન્ય રાહદારીઓને ચેતવણી આપી હતી કે સહેજ પણ ગાફેલ રહેવાથી ભારે નુક્સાન થઈ શકે છે. તેની પાંસળીને તેમજ પેટના ભાગે ઈજા થઈ હતી. તેના મોં પર પણ ઉઝરડા પડી ગયા હતા.
• લોભને લીધે નહીં, બીમારીને લીધે સ્થૂળતા આવે
અગ્રણી ડોક્ટરોએ જણાવ્યું હતું કે જીવનશૈલીને લીધે સ્થૂળતા આવતી હોવાનું માનવાને બદલે તેને એક પ્રકારની બીમારી ગણવી જોઈએ. રોયલ કોલેજ ઓફ ફિઝિશિયન્સ દ્વારા વધુમાં જણાવાયું હતું કે સ્થૂળતાને વ્યક્તિગત લાલચને બદલે વાતાવરણ અને સામાજિક પરિબળોને થતી સમસ્યા ગણીને સારવાર કરવામાં આવે તો તેમાં સફળતાની શક્યતા રહે છે. ચાર વયસ્કમાંથી એક સ્થૂળ હોય છે જ્યારે પાંચમાંથી એક બાળક પ્રાઈમરી સ્કૂલ છોડી દે છે.
• GP એમ્બ્યુલન્સ બોલાવે તો પહોંચવામાં બમણો સમય
દર્દીના ફેમિલી ડોક્ટર એમ્બ્યુલન્સ બોલાવે તો તેને પહોંચવામાં સામાન્ય કરતાં બમણો સમય લાગતો હોવાનું તપાસમાં જણાયું હતું. GP એ જણાવ્યું હતું કે હાર્ટ એટેકનો ભોગ બનેલા તેમજ સેપ્સીસ જેવી જીવને જોખમ હોય તેવી પરિસ્થિતિમાં દર્દીને તાકીદે સારવારની જરૂર હોવાની સ્પષ્ટ સૂચના અપાઈ હોવા છતાં દર્દીઓને કલાકો સુધી એમ્બ્યુલન્સની રાહ જોવી પડે છે.