ક્રીએટિવ લોકોને મોત વિશે ઓછો ભય ધરાવે છે કારણકે તેમની કળામય રચનાઓ તેમના મૃત્યુ પછી પણ જગતમાં જીવંત રહે છે. યુનિવર્સિટી ઓફ કેન્ટના સંશોધકોનો અભ્યાસ જણાવે છે કે સર્જનાત્મક મહત્ત્વાકાંક્ષા અને સિદ્ધિઓ ધરાવતા લોકો મોતની ચિંતાઓ પ્રતિ વિશેષ ધ્યાન આપતાં નથી કારણકે તેઓ પોતાના સર્જનો થકી એક પ્રકારનું અમરત્વ મેળવે છે
• કોમ્પ્યુટર સ્ક્રીન સામે બેસી રહેવું બાળકો માટે જોખમી
સંકટમાં મૂકી શકે તેવા બાહરી સાહસોની સરખામણીએ કલાકો સુધી કોમ્પ્યુટરના સ્ક્રીન સામે બેસી રહેવું બાળકો માટે વધુ જોખમી છે. યુનિવર્સિટી ઓફ બકિંગહામના પ્રો વાઈસ-ચાન્સેલર અને આર્ટ્સ વિબાગના પૂર્વ ડીન જુલિયન લવલોકે જણાવ્યું હતું કે બાળકો સાચા વિશ્વમાં સમય વીતાવવા કરતા ગેજેટ્સનો ઉપયોગ કરવા વધુ સમય ગાળે છે. તેઓ કલાકો સુધી કોમ્પ્યુટરના સ્ક્રીન સામે બેસી રહે છે અને બહાર રખડવાની તેમને આઝાદી મળતી નથી. બાળકો બહાર વધુ સમય વીતાવે તો તેમની સમસ્યા નિરાકરણની કુશળતા, સહકાર, ફોકસિંગ અને સ્વશિસ્તમાં વધારો થતો હોવાની સાબિતીઓ પણ છે.
• ત્રાસવાદની નવી વ્યાખ્યા જોખમી બનશે
‘બ્રિટિશ મૂલ્યો’ના ઉપયોગથી ત્રાસવાદની વ્યાખ્યા કરવાના સરકારના પ્રયાસો ‘ભારે જોખમકારક’ બની રહેશે તેવી ચેતવણી આપતા ટેરરિઝમ વોચડોગે કહ્યું છે કે આના પરિણામે નિર્દોષ લોકોની તપાસ વધુ થશે. ત્રાસવાદ વિધેયકના સ્વતંત્ર સમીક્ષક ડેવિડ એન્ડરસન QCએ જણાવ્યું હતું કે થેરેસા મે સરકારના મુખ્ય કટ્ટરવાદવિરોધી બિલના કારણે નિર્દોષ લોકોની વધુ હેરાનગતિ થશે. લોકોના વર્તન કે વ્યવહારને બ્રિટિશ મૂલ્યો સાથે સાંકળી લેવાવાના સંજોગોમાં પોલીસે લોકોની દરેક નાની-મોટી ફરિયાદોમાં ઊંડી તપાસ કરવી પડશે.
• ઈસ્લામિક સ્કૂલ ડાઉનગ્રેડ કરાઈ
લંડનના બેથનાલ ગ્રીનની દારુલ હદીસ લતિફ્લાહ બોઈઝ સ્કૂલની લાઈબ્રેરીમાં છોકરીઓ અને સ્ત્રીઓએ કેવી રીતે વર્તવું જોઈએ તે વિશે અયોગ્ય મત દર્શાવતું પુસ્તક અને ઘણા ઓછાં વિદ્યાર્થી બ્રિટનના નવા પ્રાઈમ મિનિસ્ટરનું નામ આપી શક્યા પછી ઓફસ્ટેડ ઈન્સ્પેક્ટરોએ સ્કૂલને ડાઉનગ્રેડ કરી હતી. તેમનો મત એવો હતો કે ઈસ્લામિક સ્કૂલ વિદ્યાર્થીઓને આધુનિક બ્રિટનમાં જીવન માટે તૈયાર કરવામાં નિષ્ફળ ગઈ છે. સરકારની કાઉન્ટર ટેરરિઝમ પ્રીવેન્ટ પોલિસીને સંપૂર્ણ અમલ પણ કરાતો નથી.

