• તરુણ વયમાં સગર્ભાવસ્થાનો સૌથી નીચો દર નોંધાયો

Monday 02nd March 2015 03:54 EST
 

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના અભ્યાસ અનુસાર ૨૦૧૩ના વર્ષમાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં તરુણ વયમાં સગર્ભાવસ્થાનો દર ૧૯૬૯ પછી સૌથી નીચો નોંધાયો હતો. બીજી તરફ, ૪૦ અને તેથી વધુ વયની સ્ત્રીઓમાં ગર્ભાધાન દર સૌથી વધુ ૧૪.૨ ટકા હતો, જે ૨૦૧૨માં ૬.૬ ટકા હતો. ૧૮ વર્ષથી નીચેની યુવતીઓમાં ગર્ભાધાન દરમાં ૧૩ ટકાનો અને ૧૬ વર્ષથી નીચેની યુવતીઓમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૨માં ૧૮ વર્ષથી નીચેની ૨૭,૮૩૪ યુવતીઓની સરખામણીએ ૨૦૧૩માં ૨૪,૩૦૬ યુવતીએ ગર્ભ ધારણ કર્યો હતો.

કાર્સવેલના મતે દેશને પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમની જરૂર

યુકે ઈન્ડીપેન્ડન્સ પાર્ટીના પ્રથમ સાંસદ ડગ્લાસ કાર્સવેલે સ્પષ્ટ કર્યું છે કે દેશને પોઈન્ટ્સ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમની જરૂર છે. તેમનો પક્ષ બ્રિટિશ અર્થતંત્રમાં જરૂરી કૌશલ્ય ધરાવતા ઈમિગ્રન્ટ્સને પ્રાધાન્ય આપશે. તેમણે વિવાદાસ્પદ એનોક પોવેલની પ્રશંસા કરતા કહ્યું હતું કે રાજકારણી તરીકે તેઓ મહાન વ્યક્તિ છે, પરંતુ ઈમિગ્રેશન વિશે તેમનો મત સાચો નથી. કાર્સવેલ ઓક્ટોબર મહિનામાં કન્ઝર્વેટિવ પાર્ટી છોડી UKIP સાથે જોડાયા હતા.

માન્ચેસ્ટરની કાઉન્સિલોને NHS બજેટ પર અંકુશની સત્તા

માન્ચેસ્ટરની દસ સ્થાનિક કાઉન્સિલો હવે તેમની પોતાની જ નેશનલ હેલ્થ સર્વિસના બજેટ પર અંકુશ ધરાવશે. વ્હાઈટહોલ દ્વારા શહેરી વિસ્તારોને સત્તાના વિકેન્દ્રીકરણ અને લંડનના અર્થતંત્રના પ્રતિસ્પર્ધી તરીકે નોર્ધર્ન પાવરહાઉસ સ્થાપવાની યોજનાના ભાગરુપે માન્ચેસ્ટરની કાઉન્સિલોને NHS ના £૬ બિલિયન ખર્ચનું નિયંત્રણ સુપરત કરવામાં આવનાર છે. જોકે, ડોક્ટરો અને નર્સીસ દ્વારા ચેતવણી અપાઈ છે કે કાઉન્સિલોએ આ સત્તાનો ઉપયોગ NHS બજેટ પર તરાપ મારવા કરવો ન જોઈએ.

ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશની સંખ્યા બમણી કરવા જણાવાયું

એડમિશન્સ વોચડોગ ઓફિસ ફોર ફેર એક્સેસ દ્વારા યુનિવર્સિટીઓને આગામી પાંચ વર્ષમાં ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશની સંખ્યા બમણી કરવા જણાવાયું છે. જોકે, આ સૂચનથી બ્રિટનની ઘણી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓમાં રોષ ફેલાયો છે. વોચડોગે ગરીબ વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં ૪૦,૦૦૦ સુધી પહોંચે અને તેમનો પ્રવેશ વ્યાપક બનાવે તેવાં પગલાં લેવા યુનિવર્સિટીઓને જણાવ્યું છે.

ઉચ્ચ કૌશલ્ય ધરાવતાં બ્રિટિશરોનું વિદેશગમન

ડેમિડ કેમરન ઈમિગ્રેશમાં કાપ મૂકવાનું વચન પાળવામાં નિષ્ફળ ગયા છે ત્યારે બ્રિટનમાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતાં લોકો દેશ છોડીને દરિયાપાર જઈ રહ્યાં છે. યુનિવર્સિટી કોલેજ લંડનના રિપોર્ટ અનુસાર બ્રિટનના ૧૦ શ્રેષ્ઠ વર્કરમાંથી એક વર્કરને દરિયાપાર જવા લલચાવાય છે અને તેમનું સ્થાન ઓછી કુશળતા ધરાવતાં લોકો લઈ રહ્યાં છે. સારું કૌશલ્ય ધરાવતા બ્રિટિશરો વધુ કમાણી કરવા તેમ જ દરિયાપાર રહેવાની સારી જીવનશૈલીને માણવા સ્થળાંતર કરતા હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter