માઈગ્રન્ટ બાળજન્મમાં ભારે વધારાથી કેટલાંક વિસ્તારોમાં એજ્યુકેશન સિસ્ટમ પર ભારે દબાણ આવ્યું છે. અંદાજો કહે છે કે ૮૦,૦૦૦ બાળકોને તેમની પ્રથમ પસંદગીની શાળામાં પ્રવેશનો ઈનકાર કરાયો છે. આ ઉપરાંત, ૨૦,૦૦૦ બાળકો માટે તમામ છ વિકલ્પ નજરઅંદાજ કરાયા છે. અનેક બાળકોના સગાં ભાઈ-બહેનને તેમની શાળામાં પ્રવેશ મળી રહ્યો નથી. શાળાઓમાં બેઠકોની તીવ્ર અછત માટે લેબર પાર્ટીના ટોની બ્લેર અને ગોર્ડન બ્રાઉનના શાસનમાં અપનાવાયેલી ઓપન-ડોર ઈમિગ્રેશન નીતિને કારણભૂત માનવામાં આવે છે. સરકારી પ્રાઈમરી શાળાઓમાં ૨૦૦૯માં ૩.૯ મિલિયન વિદ્યાર્થી હતા, જે ૨૦૧૮માં વધીને ૪.૬ મિલિયન સુધી પહોંચી જવાની આગાહી છે.
• લોર્ડ જેનરના મુદ્દે કોર્ટની સુનાવણીનો આગ્રહ
પૂર્વ ડાયરેક્ટર ઓફ પબ્લિક પ્રોસિક્યુશન લોર્ડ મેકડોનાલ્ડ ઓફ રિવર ગ્લેવેને કહ્યું છે કે લોર્ડ જેનર ઓફ બ્રાઉનસ્ટોન બાળયૌનશોષણના આરોપોનો સામનો કરવા તંદુરસ્ત છે કે નહિ તે સ્થાપિત કરવા કોર્ટની સુનાવણી થવી જોઈએ. તેમણે પૂર્વ લેબર સાંસદ સામે તબિયતના કારણોસર આરોપોમાં આગળ નહિ વધવાના ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના નિર્ણયની સખત ટીકા કરી હતી.
• ઘર ખરીદનારાના શિરે વધુ £૧૨,૦૦૦નો બોજ
નવું ઘર ખરીદનારાઓને ઘર માટે મોટી ડિપોઝિટના નાણા બચાવવાનો ભારે સંઘર્ષ કર્યા પછી પણ વધારાના ખર્ચ તરીકે £૧૨,૦૦૦ ભરવાનો ડંખ વાગ્યો છે. વધારાના ખર્ચમાં એસ્ટેટ એજન્સી ફી, કન્વેયન્સિંગ અને સ્ટેમ્પ ડ્યૂટીનો સમાવેશ થાય છે. ૨૦૦૪માં આ ખર્ચ £૭,૪૭૫ હતો, જે આજે £૧૧,૮૪૪ છે અને ૨૦૨૦માં વધીને £૧૫,૪૧૪ થશે. એક રિપોર્ટ અનુસાર ૪૨ ટકા ભાડૂત માને છે કે તેમને કદી પોતાનું ઘર ખરીદવું પોસાશે નહિ.
• તરુણ કાઝી ઈસ્લામ ત્રાસવાદના ગુના માટે દોષિત
‘લી રિગ્બી’ સ્ટાઈલમાં હુમલો અને હત્યા કરવાની યોજના ઘડવા બદલ ૧૮ વર્ષીય તરુણ કાઝી ઈસ્લામને દોષિત ઠરાવાયો છે. કાઝીના સંબંધો ૭/૭ના બોમ્બર્સ સાથે હોવાનું પણ કહેવાય છે. ઈસ્ટ લંડનમાં ન્યૂહામના કાઝીએ બોમ્બ બનાવવાની સામગ્રી ખરીદવા ‘કેક’ જેવા શબ્દોનો ઉપયોગ કરી માનસિક વિકલાંગ હેરી થોમસ પર દબાણનો પ્રયાસ કર્યો હતો. જોકે, થોમસ પાઈપ બોમ્બ માટેની સામગ્રી ખરીદી શક્યો ન હતો. કોઈને કશું ન કહેવાની તાકીદ છતાં થોમસે કેટલાંક મિત્રોને આ વાત કરી હતી. કાઝીએ ફ્યૂઝીલીઅર રીગ્બી પર હુમલાની જાણકારી મેળવવા ઈરાક અને અફઘાનિસ્તાન સંબંધિત મુદ્દાઓનો અભ્યાસ કર્યો હતો.
• કેર હોમમાં જીવવાનું ટાળવું મુર્ખામીપૂર્ણ વિચાર છે
નાટ્યક્ષેત્રની સેવા માટે CBE એવોર્ડ મેળવનાર વયોવૃદ્ધ અભિનેત્રી શૈલા હેનકોકે પોતાની વૃદ્ધ જિંદગીનો અંત આવે ત્યાં સુધીની યોજનાઓ ઘડી રાખી છે. ૮૨ વર્ષની અભિનેત્રીએ કહ્યું હતું કે તેઓ વિસ્મૃતિનો ભોગ બને તેવી હાલતમાં કોઈ તેમની મુલાકાત લે તેમ ઈચ્છતાં નથી. વૃદ્ધાવસ્થાની રાહ જોયા વિના જ કેર હોમ્સમાં જવાની સમયસર તૈયારી કરી રાખવી જોઈએ. આનો નિર્ણય સગાંસંબંધી પર છોડવો સ્વાર્થ જ ગણાશે.
• સાગરપેટાળમાંથી ચાંદીનો ખજાનો કઢાયો
દ્રિતીય વિશ્વયુદ્ધમાં સાઉથ એટલાન્ટિક મહાસાગરમાં લશ્કરી જહાજની ટોરપીડોનો શિકાર બનેલા દરિયાઈ જહાજના ખજાનાને બ્રિટિશ મરજીવાની ટીમે શૌોધી કાઢ્યો છે. તેમાં ૩૪ મિલિયન પાઉન્ડ (૫૦ મિલિયન ડોલર)ની કિંમતના ચાંદીના પૂરાણા સિક્કાનો સમાવેશ થાય છે. મુંબઈથી ઈંગ્લેન્ડ જવા નીકળેલું કોલસાથી ચાલતું જહાજ ૫,૧૫૦ મીટરની ઊંડાઈએ ડૂબેલું હતું.
• હર્બલ ડોક્ટર્સ પર નિયંત્રણ નહિ
પ્રિન્સ ચાર્લ્સ દ્વારા લોબીઈંગ કરાયા છતાં સ્વાસ્થ્ય સત્તાવાળાએ હર્બલ ઔષધો કામ કરતા હોવાના પૂરતા પુરાવા નહિ હોવાનું જણાવ્યું છે. આના કારણે દેશના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ડેવિડ વોકરે પ્રાચીન વૈકલ્પિક મેડિસિન્સ અને ડોક્ટર્સને નિયંત્રણ હેઠળ રાખવાનું વાજબી નહિ હોવાનું જણાવ્યું છે. વૈકલ્પિક થેરાપી માટે સારી પ્રેક્ટિસના માપદંડ સ્થાપિત કરવાનું અશક્ય છે.
• એશિયન દ્વારા પડોશી સાથે ઝગડામાં રંગભેદનો આક્ષેપ
પ્રેપર્ટી ડેવલપર સંજય ચડ્ઢાએ તેમના પડોશી સાથે સરહદના ઝગડામાં તેમની પર રંગભેદી અપશબ્દ વાપર્યાનો ખોટો આક્ષેપ લગાવ્યો હતો. જોકે, પોલીસને સીસીટીવીમાં સંજયે જ ડીન પેટન પર હુમલો કર્યો હોવાનું જણાયું હતું. લિવરપૂલ ક્રાઉન કોર્ટે સંજય ચડ્ઢાને હુમલા અને પર્જ્યુરી બદલ છ મહિનાની સસ્પેન્ડેડ સજા કરી હતી. સજામાંથી મુક્તિ મળતા સંજયે હવામાં જ હાથ ફંગોળી ખુશી વ્યક્ત કરી હતી.
• ગભરુ બાળકો માટે દંપતીએ ઘરને શાળા બનાવી
વોરવિકશાયરના નિવૃત્ત દંપતી ફ્રેડ મોર્ગન (૯૪) અને વિવિયને (૭૨) સાથી વિદ્યાર્થી અને પડોશીઓની ધમકી કે જુલમનો ભોગ બનતા ગભરુ બાળકો માટે પોતાના ૧૦ બેડરુમના મકાનને શાળામાં ફેરવી નાખ્યું છે. તેમની સાથે ૧૯ વિદ્યાર્થી રહે છે, જેમને ૨૨ પાર્ટટાઈમ કર્મચારી દ્વારા અંગ્રેજી, મેથ્સ, સાયન્સ, કૂકરી, સીવણ, સંગીત ફ્રેન્ચ અને ઈટાલિયનનો અભ્યાસ કરાવાય છે. જુલમનો ભોગ બની આત્મહત્યા કરનારી ૧૫ વર્ષની તરુણી વિશે વાંચ્યા પછી મોર્ગન દંપતીને આવા છોકરા-છોકરી માટે શાળા સ્થાપવાનો વિચાર આવ્યો હતો.