કેન્ટરબરીના પૂર્વ આર્ચબિશપ લોર્ડ કેરીએ દાવો કર્યો છે કે સરકાર સીરિયાથી આવતા ખ્રિસ્તી શરણાર્થીઓ સાથે ભેદભાવ કરી રહી છે. સરકારી અધિકારીઓ તેમની સાથે પૂર્વગ્રહ દર્શાવે છે. સીરિયાના સંઘર્ષને લીધે દેશના ઘણાં ખ્રિસ્તીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પરંતુ, પ્રાપ્ત આંકડા મુજબ યુકે સ્કીમ હેઠળ ગયા વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં માત્ર ૧ ટકા ખ્રિસ્તી શરણાર્થીઓ દેશમાં સ્થાયી થયા હતા.
• ગરીબ વિદ્યાર્થીઓને અગ્રીમતા આપવા ગ્રામર સ્કૂલોને સૂચના
એજ્યુકેશન સેક્રેટરી જસ્ટિન ગ્રીટીંગે ગરીબ વિદ્યાર્થીઓને અગ્રીમતા આપવા તમામ ગ્રામર સ્કૂલોને સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેજસ્વી વિદ્યાર્થીઓને સારી સ્કૂલોમાં અભ્યાસ મળશે તો બ્રેક્ઝિટ પછી અજેય બ્રિટન ઘડવામાં તેઓ મદદરૂપ થશે. નવી ગ્રામર સ્કૂલોએ તેના ૩૩ ટકા વિદ્યાર્થી વાર્ષિક ૨૫ હજાર પાઉન્ડથી ઓછી આવક ધરાવતા પરિવારોમાંથી લેવા પડશે. તેમણે ઉમેર્યું હતું કે પસંદગીની સ્કૂલો માત્ર અમુક વિદ્યાર્થીઓ માટે જ હોવી જોઈએ નહીં.
• મકાનોના વેચાણમાં વિક્મજનક ઘટાડો
ભાવવધારા, મોર્ગેજ ધિરાણના કડક નિયમો, સ્ટેમ્પ ડ્યૂટીમાં વધારો અને આર્થિક અનિશ્ચિતતા જેવા પરિબળોને લીધે છેલ્લાં ચાર મહિનામાં વેચાણ માટેના મકાનોની સંખ્યામાં વિક્રમજનક ઘટાડો નોંધાયો છે. મકાનમાલિકો દ્વારા એસ્ટેટ એજન્ટ્સને પ્રોપર્ટી વેચવા માટેની સૂચનામાં જોરદાર ઘટાડો થયો છે. લોકો મકાન વેચીને બીજે જવાને બદલે તેનું રિનોવેશન કરાવવાનું પસંદ કરી રહ્યા છે. યુકેમાં સતત ત્રીજા મહિને મકાનોની ખરીદી માટેની ઈન્ક્વાયરીમાં પણ કોઈ વધારો નોંધાયો ન હતો.
• તબિયત માટે વધુ પડતા ચિંતિત વૃદ્ધની બનાવટ
તબિયત માટે સતત વધુ પડતા ચિંતિત રહેવાના લક્ષણ (Hypochondria)થી પીડાતા હેરોના ૬૨ વર્ષીય ક્રિસ્ટોફર ડિયરલવ નામના વૃદ્ધે હોસ્પિટલમાં દાખલ થવા માટે તેમને ઈબોલા થયો હોવાનું જણાવ્યું હતું. તે આવા કારણસર ખોટા નામોનો પણ ઉપયોગ કરે છે. તેમણે ટોન્ટન ક્રાઉન કોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો હતો કે યેઓવિલ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં દાખલ થવા માટે તેમણે એન્ટિસોશિયલ બીહેવિયર ઓર્ડરનો ભંગ કર્યો હતો. જજ માર્ટિન મીકી તેને આવતા મહિને સજા સંભળાવશે.

