નવી દિલ્હીઃ ભારત-યુરોપિયન યુનિયન (ઇયુ) વચ્ચે 18 વર્ષ વાટાઘાટ બાદ મુક્ત વેપાર કરારને આકાર આપવામાં આવ્યો છે. આ કરાર પર હસ્તાક્ષર સાથે જ દ્વિપક્ષીય સંબંધોમાં નવું સિમાચિહન અંકિત થયું છે. આ કરારના પગલે ભારતીયો માટે યુરોપમાં જવાના નિયમ હળવા થયા છે, આઇટી પ્રોફેશનલ્સને સીધો ફાયદો છે તો બીજી તરફ યુરોપિયન કાર, આલ્કોહોલ, વાઇન સહિતના ઉત્પાદનો પરના ભારતીય ટેરિફમાં જંગી ઘટાડો થશે.
આ ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ)થી પરસ્પરના આર્થિક વિકાસને પ્રચંડ વેગ મળવાની આશા છે. ભારત વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જ્યારે યુરોપિયન યુનિયન બીજા ક્રમની. બન્ને મળીને વૈશ્વિક જીડીપીનો લગભગ 25 ટકા અને વિશ્વના કુલ વેપારવણજનો અંદાજે ત્રીજો ભાગ હિસ્સો ધરાવે છે. પાટનગરમાં મંગળવારે યોજાયેલી 16મી ભારત-ઇયુ સમિટ દરમિયાન આ એફટીએ અંગે જાહેરાત કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે યુરોપિયન કમિશનના ચેરમેન ઉર્સુલા વોન ડેર લેયને દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકને સંબોધતાં જ જાહેરાત કરી હતી કે ભારત અને ઇયુ વચ્ચે દ્વિપક્ષી સહયોગ વધારવા મધર ઓફ ઓલ ડીલ્સ માટે તૈયારી ચાલી રહી છે.
આ ઐતિહાસિક કરાર અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ મુક્ત વેપાર કરારથી રોકાણને વેગ મળશે, નવી ઇનોવેશન ભાગીદારી બનશે અને વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન મજબૂત થશે. આ માત્ર એક વેપાર સમજૂતી નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિનો રોડમેપ છે.
આ પ્રસંગે યુરોપિયન કમિશન (ઇસી)ના ચેરમેન ઉર્સુલા વોન ડેર લેયને કહ્યું કે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી વર્ષે લગભગ 4 બિલિયન યુરો (43 હજાર કરોડ રૂપિયા)ના ટેરિફ દૂર થશે અને ભારત-યુરોપમાં લાખો લોકો માટે રોજગારીની નવી તકો ઊભી સર્જાશે. ભારત-ઇયુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ દુનિયાને સ્પષ્ટ સંદેશ આપે છે કે આજની વૈશ્વિક અસમાનતાઓ અને પડકારોનો સૌથી શ્રેષ્ઠ જવાબ પરસ્પર સહયોગ છે, નહીં કે અલગ-થલગ રહીને લેવાયેલા નિર્ણયો.
સમજૂતીનો સંભવિત અમલ 2027થી...
એક અહેવાલ અનુસાર, આ સમજૂતીને સંભવતઃ 2027માં લાગુ કરવામાં આવશે. આ ડીલ બાદ ભારતમાં યુરોપિયન કારો જેવી કે BMW, મર્સિડીઝ પર લાગતા ટેક્સને 110 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દેવામાં આવશે. આ સિવાય ભારતમાં યુરોપથી આવતા આલ્કોહોલ અને વાઇન પર ટેક્સ ઓછો થઈ શકે છે. યુરોપિયન દેશોના દારૂ પર અત્યારે 150 ટકા ટેરિફ લાગે છે, જેને ઘટાડીને 20–30 ટકા કરાશે.
ભારત-ઇયુ એફટીએ પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે 27 જાન્યુઆરીએ ભારતે યુરોપના 27 દેશો સાથે આ કરાર સાઈન કર્યો છે. આનાથી રોકાણને વેગ મળશે, નવી ઇનોવેશન ભાગીદારી બનશે અને વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન મજબૂત થશે. આ માત્ર એક વેપાર સમજૂતી નથી, પરંતુ સહિયારી સમૃદ્ધિનો રોડમેપ છે. તેમણે કહ્યું કે આ સમજૂતી હેઠળ ભારત અને યુરોપિયન યુનિયન મળીને ઇન્ડિયા-મિડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોરને આગળ વધારશે. અત્યારે દુનિયામાં વૈશ્વિક વ્યવસ્થાને લઈને ઉથલપાથલ છે, એવામાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારો ખૂબ જ જરૂરી બની ગયો છે.
બાદમાં મોદીએ ઈન્ડિયા-ઇયુ બિઝનેસ ફોરમને સંબોધિત કરતા કહ્યું કે આજે દુનિયામાં વેપાર - ટેકનોલોજી અને રેર મિનરલ્સને હથિયાર બનાવીને તેનો ઉપયોગ દબાણ લાવવા માટે કરવામાં આવી રહ્યો છે, તેથી ભારત અને ઇયુએ મળીને પોતાની નિર્ભરતા ઘટાડવી જોઈએ.
વેપારવણજમાં ઇયુ ભારતનો સૌથી મોટો પાર્ટનર
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના અત્યાર સુધીના વેપારના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2024-25 દરમિયાન વેપારનો આંકડો 139.53 બિલિયન ડોલરનો હતો, જેમાં 60.68 બિલિયન ડોલરની આયાત અને 75.85 બિલિયન ડોલરની નિકાસનો સમાવેશ થાય છે. જ્યારે 2024માં સર્વિસ ટ્રેડ 83.10 બિલિયન ડોલરનો હતો. ભારતની કુલ નિકાસમાંથી 17 ટકા માત્ર યુરોપિયન યુનિયન દેશોમાં કરાઈ છે. યુરોપિયન યુનિયન વૈશ્વિક વેપારમાં સૌથી મોટો પાર્ટનર માનવામાં આવે છે. ભારતે યુરોપિયન યુનિયનમાં પેટ્રોલિયમ વસ્તુઓ, ઇલેટ્રોનિક્સ, ટેક્સટાઇલ્સ, ગાર્મેન્ટ્સ, મશીનરી, કમ્પ્યુટર, ઓર્ગેનિક કેમિકલ, આયરન, સ્ટીલ, જેમ્સ જવેલરી વગેરે સૌથી વધુ નિકાસ કરી છે.
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે કોઈ પણ સમજૂતી ત્યારે જ કરવામાં આવે છે જ્યારે બંને પક્ષોને તેમાં ફાયદો દેખાતો હોય. તેમણે કહ્યું કે આ સમજૂતીમાં બંને પક્ષોના હિત જોડાયેલા છે અને બંનેને આનાથી લાભ દેખાઈ રહ્યો છે, આ જ કારણે આજે આ સમજૂતી કરવામાં આવી છે.
મોદીની લીડરશિપમાં આઠમો એફટીએઃ પીયૂષ ગોયલ
ભારત અને ઇયુ વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે આ ભારતના 1.4 બિલિયન લોકો માટે અભિનંદનનો પ્રસંગ છે. આ મુલાકાત અને આ સમજૂતી માત્ર એફટીએ સુધી સીમિત નથી, પરંતુ ભારત અને ઇયુ વચ્ચે ઊંડી અને મજબૂત ભાગીદારીનો સંકેત છે.
તેમણે જણાવ્યું કે આ સમજૂતીને ઉર્સુલા વોન ડેર લેયને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ કહી છે. આ ભારતનો વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આઠમો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. તેમણે કહ્યું કે છેલ્લા ચાર વર્ષોમાં ભારતે 37 વિકસિત દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. તેમણે કહ્યું કે આ સમજૂતી ભારતથી યુરોપિયન યુનિયનને જતી લગભગ 99 ટકા નિકાસ અને યુરોપિયન યુનિયનથી ભારત આવતી 97 ટકાથી વધુ નિકાસને કવર કરે છે.
ઈન્ડિયા-ઇયુ બિઝનેસ ફોરમમાં 100થી વધુ સીઇઓ
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું કે ઈન્ડિયા-ઇયુ બિઝનેસ ફોરમમાં બંને પક્ષોના 100થી વધુ CEO સામેલ થયા હતા. છેલ્લા એક દાયકામાં ભારત અને યુરોપિયન યુનિયનના સંબંધો સતત મજબૂત થયા છે. મિસરીએ કહ્યું કે ઝડપથી બદલાતી દુનિયામાં ભારત-ઇયુ વ્યૂહાત્મક ભાગીદારી માત્ર દ્વિપક્ષીય જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ મહત્વપૂર્ણ બની ગઈ છે, ખાસ કરીને એવા સમયે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંતુલન ઝડપથી બદલાઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે દુનિયાની બીજી અને ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાને નાતે ભારત અને ઇયુ ઘણા મોટા વૈશ્વિક મુદ્દાઓ સાથે સીધી રીતે જોડાયેલા છે.
ભારત શાંતિ માટે રશિયા પર દબાણ લાવેઃ કાઝા ક્લાસ
યુરોપિયન કમિશનના ઉપાધ્યક્ષ કાઝા કલાસે જણાવ્યું કે ઇયુએ ભારતને અપીલ કરી છે કે તે રશિયા સાથે વાત કરીને તેના પર શાંતિ માટે દબાણ લાવે.
કાઝાએ કહ્યું કે ભારત અને ઇયુ - બંને શાંતિમાં વિશ્વાસ રાખે છે. અમે નથી ઈચ્છતા કે આ યુદ્ધ ચાલુ રહે, અમે ઈચ્છીએ છીએ કે આનો અંત આવે.
કાઝાએ આરોપ લગાવ્યો કે યુક્રેન એક વર્ષ પહેલા જ બિનશરતી સીઝફાયર માટે તૈયાર થઈ ગયું હતું, પરંતુ રશિયા માત્ર વાતચીતનો દેખાવ કરી રહ્યું છે.
•••
હું પ્રવાસી ભારતીય, ગોવા સાથેનો નાતો ગૌરવની વાતઃ ઇસી ચેરમેન કોસ્ટા
યુરોપિયન કાઉન્સિલ (ઇસી)ના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટાએ પોતાને પ્રવાસી ભારતીય ગણાવતા કહ્યું હતું કે હું યુરોપિયન કાઉન્સિલનો અધ્યક્ષ છું, પરંતુ સાથે જ હું એક ‘ઓવરસીઝ ઈન્ડિયન સિટિઝન (OCI) પણ છું. તેથી, તમે સમજી શકો છો તેમ મારા માટે આ કરારનું એક ખાસ ભાવનાત્મક મહત્વ છે. કોસ્ટાએ કહ્યું કે મને ગોવા સાથે જોડાયેલી મારી ઓળખ પર ખૂબ ગર્વ છે, જ્યાંથી મારા પિતાનો પરિવાર આવ્યો છે. યુરોપ અને ભારત વચ્ચેનો સંબંધ મારા માટે માત્ર સત્તાવાર નથી, પરંતુ વ્યક્તિગત પણ છે. આમ કહીને તેમણે પોતાનું ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા કાર્ડ પણ બતાવ્યું હતું.


