મુંબઈઃ કોરોના વાઈરસે ઘણાનાં જીવન બદલી નાખ્યાં છે. નાની પેથોલોજી લેબોરેટરીને વિશાળકાય ૧ બિલિયન ડોલરના બિઝનેસમાં ફેરવી નાખનારા અમીરા શાહ સાથે પણ આવું જ બન્યું છે. ભારતની પ્રખ્યાત મેટ્રોપોલીસ હેલ્થકેરના મેનેજિંગ ડાયરેક્ટર અમીરાએ માર્ચ મહિનામાં પોતાના પ્રથમ સંતાનને જન્મ આપ્યો છે અને થોડો સમય કંપનીના સંચાલનની ચિંતાને બાજુએ રાખી બાળકને સમય આપવાનો તેમનો નિર્ણય હતો.
પરંતુ, કોરોના વાઈરસનું પ્લાનિંગ અલગ જ હતુ જેણે અમીરાની યોજના પર પાણી ફેરવી દીધું હતું. ભારતમાં કોરોના વાઈરસના કેસીસ આવી રહ્યા હતા અને વાઈરસની ટેસ્ટિંગ નીતિ વિશે સરકારી અધિકારીઓ અમીરા શાહનાં ફોનની ઘંટડીઓ વગાડવા લાગ્યા હતા. ૨૩ માર્ચે નવી દિલ્હીએ મેટ્રોપોલીસ હેલ્થકેર સહિત છ ખાનગી પ્રાઈવેટ પેથોલોજી લેબોરેટરીને વાઈરસ માટે પરીક્ષણોની પરવાનગી આપી દીધી હતી. એક દિવસ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી કોરોના વાઈરસ લોકડાઉન જાહેર કરી દીધું.
પતિ, નવજાત બાળક અને પરિવાર સાથે આરામનો સમય ગાળી રહેલાં ૪૦ વર્ષીય એન્ટ્રેપ્રીન્યોર અમીરાએ તેમની કંપનીની કોરોના વાઈરસ ટેસ્ટિંગ કેપેસિટીને વધારવાના મહાકાર્યમાં લાગી જવું પડ્યું હતું. આ દિવસો વિશે અમીરા શાહ કહે છે કે,‘ ટેસ્ટિંગ કિટ્સ, રીએજન્ટ્સ, પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ તેમનજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓની ભારે અછત હતી. આના પરિણામે, સ્ટોક એકત્ર કરી લેવા લેબોરેટરીઓમાં ભારે સ્પર્ધા પણ હતી. એક જ પ્રકારના કેમિકલ્સ માટે ૧૦ લેબોરેટરી લડી રહી હતી અને સતત પૂરવઠો મળતો પણ ન હતો.’ લોકડાઉન દરમિયાન લેબ ટેક્નિશિયન્સ અને ફેલ્બોટોમિસ્ટ્સ (phlebotomists) જેવાં હેલ્થ વર્કર્સને ફરજ પર લાવવા અને તેમને હોટેલ્સમાં ઉતારો આપવા સહિતની મુશ્કેલીઓ સામે અમીરા શાહ ઝઝૂમ્યાં હતાં.
ભારતની યુવા મહિલાઓમાં ગંભીરતા ઘણી ઓછી હોય છે તેવા પરંપરાગત મહેણાંટોણાં વચ્ચે અમીરાએ તેમના પિતા ડો. સુનીલ શાહની નાની પેથોલોજી લેબોરેટરીને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની તરીકે ફેરવી નાખી છે જેનું મૂલ્ય લગભગ ૧ બિલિયન ડોલર છે.
(અમીરા શાહ વિશે વધુ રસપ્રદ માહિતી જાણવા આગામી અંકની રાહ જોવા વિનંતી છે.)