એકલા ચલો રે... પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસની રણનીતિ ફળશે?

Saturday 04th April 2026 06:18 EDT
 
 

નવી દિલ્હી: કોંગ્રેસે પશ્ચિમ બંગાળ માટે 284 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. પાર્ટી કહે છે કે તે બંગાળની બધી 294 બેઠકો પર એકલા ચૂંટણી લડશે. કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પાર્ટી વડા રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કેસી વેણુગોપાલ અને પશ્ચિમ બંગાળના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં એકલા ચૂંટણી લડીને શું પ્રાપ્ત કરવા અથવા સાબિત કરવા માંગે છે?
છેલ્લા 20 વર્ષથી, કોંગ્રેસ ક્યારેક તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને તો ક્યારેક ડાબેરી પક્ષો સાથે મળીને ચૂંટણી લડી છે, પરંતુ હવે કોંગ્રેસ પ્રાદેશિક પક્ષોના પ્રભુત્વવાળા રાજ્યોમાં એકલા ચૂંટણી લડવાની રણનીતિ પર કામ કરી રહી છે.
કોંગ્રેસ કહે છે કે તેને પશ્ચિમ બંગાળમાં ઉમેદવારો તરફથી 2,500 અરજીઓ મળી હતી. કોંગ્રેસના નેતાઓ કહે છે કે આ પશ્ચિમ બંગાળમાં પાર્ટીને પુનર્જીવિત કરવાની લાંબી પ્રક્રિયામાં પ્રથમ પગલું છે, જ્યાં તે એકલા ચલો રે રણનીતિને અનુસરી રહી છે. આ તેના કાર્યકરોને ઉર્જાવાન બનાવવામાં મદદ કરશે, તેમને તેમના ઘરોમાંથી બહાર આવવા માટે પ્રેરિત કરશે. કોંગ્રેસ પાર્ટી કહે છે કે બંગાળમાં તેની પાસે ગુમાવવા માટે કંઈ નથી. અહીં નુકસાનનો કોઈ પ્રશ્ન નથી. જે પણ ફાયદો થાય છે તેને નો ગણવામાં આવે છે.
એક સમય હતો જ્યારે 1950થી 1977સુધી, લગભગ કોંગ્રેસના મુખ્યમંત્રી હતા. ત્યારબાદ, જ્યોતિ બાસુ અને બુદ્ધદેવ ભટ્ટાચાર્ય 2011 સુધી મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. અને ત્યારથી, મમતા બેનર્જી મુખ્યમંત્રી રહી છે. 2016માં, કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો હતા, જે 2021 માં ઝડપથી ઘટીને એક થઈ ગયા. તેનો મત હિસ્સો પણ 3 ટકા થઈ ગયો હતો.
મુસ્લિમ પક્ષો મમતાની મુશ્કેલી વધારશે
પશ્ચિમ બંગાળમાં આ વખતે હુમાયુ કબીર અને અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી ટીએમસી માટે મોટો પડકાર ઉભો થયો છે. હુમાયુ કબીરે 182 બેઠકો પર ચૂંટણી લડવાની વાત કરી છે. આ વખતે લઘુમતી મતોનું ગણિત બદલાઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં લઘુમતી મતો પર મમતા બેનર્જીની ટીએમસીનું વર્ચસ્વ રહ્યું છે. અનેક નાના પક્ષો ઉપરાંત ટીએમસીમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ હુમાયુ કબીરે પોતાનો અલગ પક્ષ બનાવી લીધો છે અને ઓવૈસીની AIMIM સાથે ગઠબંધન પણ કરી લીધું છે. આવી સ્થિતિમાં 2026ની વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતોના ગણિત બદલાવાના છે. આ બદલાતી સ્થિતિ મમતા બેનર્જીની ટીએમસી માટે પડકાર બની શકે છે. લગભગ 15 વર્ષ સુધી લઘુમતી મતદારો તૃણમૂલની ચૂંટણી શક્તિનો મુખ્ય આધાર રહ્યા છે. હવે લગભગ 30 ટકા લઘુમતી મતદારોને રીઝવવાની હોડ જામી છે, જે રાજ્યની 294 વિધાનસભા બેઠકોમાંથી 114 થી વધુ બેઠકોના પરિણામોને અસર કરે છે.
આસામમાં ફરી ભાજપ તો પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના સંકેત
પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ સહિતના પાંચ રાજ્યોમાં ચૂંટણી તખતો તૈયાર છે ત્યારે ચૂંટણી પહેલાં થયેલા ઓપિનિયન પોલના તારણો જાહેર થયાં છે. જેમાં આસામમાં ફરી ભાજપ સરકારનો સંકેત મળે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ઓપિનિયન પોલના પરિણામો મુખ્યમંત્રી મમતા બેનર્જીની તરફેણમાં છે. ઓપિનિયન પોલ મુજબ, બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પશ્ચિમ બંગાળમાં સતત ચોથી વાર સરકાર બનાવી શકે છે. પોલ મુજબ મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જીની લોકપ્રિયતા પણ યથાવત છે. ચૂંટણી પહેલા કરવામાં આવેલા આ સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની ટીએમસી 294 સભ્યોવાળી વિધાનસભામાં 184થી 194 બેઠકો મેળવશે. ઓપિનિયન પોલ મુજબ વિપક્ષ ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં 98-108 બેઠકો જીતી શકે છે.
જોકે ભાજપ માટે આસામમાં આનંદના સમાચાર છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનો વિજયરથ સત્તા ભણી આગળ વધી રહ્યો છે. રાજ્યમાં કુલ 126 વિધાનસભા બેઠકો છે. વોટ ટ્રેકર સર્વેથી જાણકારી મળી છે કે ભાજપ સતત ત્રીજી વાર આસામમાં જીત મેળવવા જઈ રહ્યું છે. સર્વેથી માહિતી મળી છે કે એનડીએના ખાતામાં 80થી 90 બેઠકો આવી શકે છે. રાજ્યમાં સત્તા માટે 64 બેઠકો પર વિજય મળવો જરૂરી છે. સર્વે અનુસાર વિપક્ષી ગઠબંધનને 29થી 30 બેઠકો મળી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter