‘ઇન્ડિયા ટુડે’ને આપેલી મુલાકાતમાં ઓબામાએ જણાવ્યું હતું કે મેં પાકિસ્તાનને સ્પષ્ટ જણાવ્યું છે કે ભલે અમેરિકા અને પાકિસ્તાન આતંકવાદ સામેની લડાઇમાં એક સાથે હોય, પરંતુ પાકિસ્તાનમાં રહેલા આતંકવાદનું સ્વર્ગ સ્વીકાર્ય નથી. મુંબઇ આતંકવાદી હુમલા પાછળ રહેલા તમામ સામે કાર્યવાહી થવી જોઇએ. નોંધનીય છે કે પહેલી વાર ઓબામાએ અમેરિકાના વ્યૂહાત્મક સાથીદાર પાકિસ્તાન પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ મૂક્યો છે.
મુંબઇની તાજમહાલ હોટેલનો ઉલ્લેખ કરતાં ઓબામાએ જણાવ્યું હતું કે મારી અગાઉની ભારત મુલાકાતમાં મેં સૌથી પહેલાં તાજ હોટેલ ખાતેનાં સ્મારક ખાતે હુમલાના મૃતકો, પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી અને ભારતીયોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે અમે ભારતની પડખે છીએ. ઓબામાએ જણાવ્યું હતું કે વિશ્વનાં લોકોની જેમ ભારતીયો અને અમેરિકનોને પણ પેશાવરના નરસંહારે ભયભીત કર્યાં હતાં. અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકાને બિરદાવતાં તેમણે કહ્યું કે અફઘાન નાગરિકોનાં જીવનમાં સુધારો કરવા ભારતે આપેલાં યોગદાનનો હું આભારી છું.
મોદીનું વિઝન સ્પષ્ટઃ ઓબામા
ઓબામાએ જણાવ્યું હતું કે મોદી વડા પ્રધાન બન્યા બાદ બંને દેશો વચ્ચે એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. વડા પ્રધાન મોદીનું વિઝન એકદમ સ્પષ્ટ છે, હું તેમનાથી ઘણો પ્રભાવિત થયો છું, મોદી વિકાસ આડે આવતા અવરોધો દૂર કરવા હંમેશાં તત્પર રહે છે. એક ચાવાળાથી પ્રારંભ કરી વડા પ્રધાન બનવું એક મોટી સિદ્ધિ છે.