નવી દિલ્હી: પાકિસ્તાને ભારત સામે યુદ્ધ જાહેર કરી દીધું હતું, પરંતુ ખૂબ જ ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલું ઇસ્લામાબાદ ક્યાં સુધી ટકી શકશે તેવો સવાલ સહુને હતો. ભારત સાથેના સંઘર્ષને કારણે પાકિસ્તાનને અત્યાર સુધીમાં હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. હજારો કરોડના શસ્ત્રો અને વિમાનને નાશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પહેલાથી જ ખરાબ છે. ભારત સાથેની અથડામણે પડ્યા પર પાટુ જેવી હાલત કરી છે.
કયા એરબેઝને નિશાન બનાવવામાં આવ્યાં
• ચકલાલા એરબેઝ: આ પાકિસ્તાન વાયુસેનાની જીવાદોરી છે, તેને નુર ખાન એરબેઝ તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ મોટે ભાગે VIP મુવમેન્ટ અને લોજિસ્ટિક્સ કામગીરી માટે થાય છે.
• મુરિદ એરબેઝ: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત એક મુખ્ય લશ્કરી એરપોર્ટ છે. પાકિસ્તાન દ્વારા તેનો ઉપયોગ હવાઈ સંરક્ષણ, તાલીમ અને લડાઇ કામગીરી માટે થાય છે. અહીં ઘણા માનવરહિત ડ્રોન તૈનાત છે. એરબેઝ રાજધાની ઇસ્લામાબાદથી 120 કિમી દુર છે.
• રફીકી એરબેઝ: પંજાબ પ્રાંતના ઝાંગ જિલ્લામાં આવેલું આ એરબેઝ આક્રમક હવાઈ કામગીરી માટે જાણીતું છે. JF-17 અને મિરાજ જેવા લડાકુ વિમાનો અહીં તૈનાત છે. આ પાકિસ્તાનની હવાઈ સુરક્ષાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
• રહીમયાર ખાન એરબેઝઃ આ એરબેઝ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના દક્ષિણ વિસ્તારમાં સ્થિત છે. આ એરબેઝ પાકિસ્તાન વાયુસેનાનું સક્રિય લશ્કરી એરપોર્ટ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હોવાને કારણે તેનું એક અલગ જ મહત્વ છે. આ એરપોર્ટનો ઉપયોગ નાગરિક ઉડાન માટે થાય છે.
• સુક્કુર એરબેઝ: સધર્ન એર કમાન્ડ હેઠળ, સિંધ પ્રાંતમાં કરાચી અને હૈદરાબાદ વચ્ચે જામશોરો જિલ્લામાં સક્રિય ઓપરેશનલ એરબેઝ છે. તે PAF બેઝ ભોલારી તરીકે ઓળખાય છે. હવે અહીં 19 સ્ક્વોડ્રન અને એક ઓપરેશનલ કન્વર્ઝન યુનિટ તૈનાત છે. F-16A/B બ્લોક 15 ADE ફાઇટર એરક્રાફટ અહીંથી ચલાવવામાં આવે છે.
• ચુનલિયન એરબેઝ: તે પાકિસ્તાન વાયુસેનાનું મુખ્ય ઓપરેશનલ એરબેઝ છે. એરબેઝ લાહોરથી 70 કિલોમીટર દક્ષિણમાં પંજાબ પ્રાંતના ચુનિયાન શહેરની નજીક સ્થિત છે. આ એરબેઝને પાકિસ્તાનની હવાઈ સરક્ષણ પ્રણાલીનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.
ક્યા લશ્કરી થાણાઓ તબાહ થયા?
ભારતે કરેલા આક્રમક હુમલામાં પાકિસ્તાનના 8 લશ્કરી થાણાનો ખુરદો બોલી ગયો છે. જેમાં • ચકલાલા (LoC થી 100 કિમી) • મુરીદ (LoC થી 160 કિમી) • રફીકી (ફાઝિલ્કાથી 175 કિમી) • રહીમયાર ખાન (જેસલમેરથી 180 કિમી) • સુક્કુર (જૈસલમેરથી 225 કિમી) • ચુનિયા (ફિરોઝપુરથી 62 કિમી) • પસરુરમાં રડાર સાઇટ (ગુરુદાસપુરથી 75 કિમી) • સિયાલકોટ એવિએશન બેઝ (સામ્બાથી 55 કિમી)
4 ફાઈટર પ્લેન નાશ પામ્યા
ભારતના જવાબી હુમલામાં, પાકિસ્તાનના બે F-16 ફાઇટર પ્લેન નાશ પામ્યા, જેની કિંમત લગભગ 500 કરોડ રૂપિયા હતી, મતલબ કે પાકિસ્તાનના હજારો કરોડ રૂપિયા વેડફાયા. તેવી જ રીતે, ભારતે પાકિસ્તાનના બે JF-17ફાઇટર પ્લેનને તોડી પાડયા. આ ઉપરાંત, ભારતે પાકિસ્તાની પંજાબમાં પાકિસ્તાનના એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS)થી સજ્જ વિમાનને પણ તોડી પાડયું હતું, જેની કિંમત 5,845 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જો આપણે આ બધાને ઉમેરીએ તો કુલ ખર્ચ 7 હજાર કરોડ રૂપિયાથી વધી જાય છે.