વડા પ્રધાન મોદી જ્યારે અમેરિકા ગયા ત્યારે આ વાત તેમણે સૌપ્રથમ પોતાના ગ્રૂપમાં કહી હતી. ત્યારબાદ અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત જયશંકરને આ અંગે શક્યતાઓ પૂછી હતી. જયશંકરે આ અંગે હકારાત્મક પ્રતિભાવ આપતાં વ્હાઈટ હાઉસને લેખિત પત્ર મોકલાયો હતો. આ પછી જયશંકરે વ્હાઈટ હાઉસના સિનિયર અધિકારીઓને આ અંગે જણાવીને રિપબ્લિક પરેડમાં ઓબામાના આગમનની વાતને સવિસ્તર સમજાવી હતી. જવાબમાં યુએસ સેનેટ દ્વારા પણ આ વાતને બહાલી અપાઇ હતી. આ પછી અમેરિકન તંત્ર દ્વારા ઓબામાની સુરક્ષાનું સવિસ્તર વિશ્લેષણ કરાયું હતું. ઓબામાએ નરેન્દ્ર મોદીને હકારાત્મક જવાબ મોકલતા જ મોદીએ ટ્વિટર પર ગણતંત્ર દિન નિમિત્તે ઓબામાના આગમનની વાત જાહેર કરી હતી.
અમેરિકા તરફથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રકારની કાર્યવાહીને બિરદાવવામાં આવી હતી. મોદીએ ટ્વિટર પર જાહેર કર્યું હતું કે બરાક ઓબામા ગણતંત્ર દિન નિમિત્તે ભારતના મુખ્ય મહેમાન તરીકે આવી રહ્યા છે. ૩૦મી સપ્ટેમ્બરના રોજ વ્હાઈટ હાઉસમાં બેઠેલા ઓબામાએ જ્યારે મોદી સાથે મિટિંગ કરી ત્યારે આ વાતને તેમણે હકારાત્મક શબ્દોમાં હા કહીને સ્વીકારી હતી.
એક વાર જ્યારે આમંત્રણ સ્વીકારવામાં આવે છે ત્યારે અમેરિકાના પ્રમુખની તમામ પ્રકારની સુરક્ષાઓની ચકાસણી કરવામાં આવે છે. ઓબામાની સુરક્ષા વિશેની તમામ ચકાસણી કરવામાં આવે છે. ઓબામાની સુરક્ષા વિશેની તમામ ચકાસણી અમેરિકન સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ આ આમંત્રણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-અમેરિકના સંબંધોને સૌથી વધુ મહત્ત્વ આપ્યું છે અને આ કારણથી જ તેમણે ઓબામાને ગણતંત્ર દિને મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા છે.