લંડનઃકોરોના વાઈરસની કટોકટીમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે બ્રિટનમાં લાખો લોકો માટે ભૂખમરાની કટોકટી પણ સર્જાઈ છે. ૧.૫ મિલિયન લોકોનું કહેવું છે કે કોરોના મહામારીના કારણે સર્જાયેલી ગરીબીની હાલતમાં તેઓ આખો દિવસ ખાધા વિના રહે છે. ત્રણ સપ્તાહના લોકડાઉન પછી તેમના કબાટ અને ફ્રિજમાં કશું ખાવાલાયક રહ્યું નથી.
ફૂડ ફાઉન્ડેશન અને ફૂડ, ફાર્મિંગ એન્ડ કન્ટ્રીસાઈડ કમિશન (FFCC) દ્વારા કરાવાયેલા યુગવ પોલના તારણો જણાવે છે કે વસ્તીના છ ટકા અથવા તો ૩૦ લાખથી વધુ લોકો માટે પરિવારમાંથી એક વ્યક્તિએ ડિનર જતું કરવું પડે છે.
આ ઉપરાંત, સંશોધનમાં એવો દાવો કરાયો છે કે એક મિલિયનથી વધુ લોકોએ જણાવ્યું હતું કે લોકડાઉનના કારણે તેમણે તમામ આવક ગુમાવી છે. બીજી તરફ, ૪૩ ટકા લોકો હવે ઓછું કમાય છે અને માને છે કે તેઓ સરકાર પાસેથી મદદ મેળવવાને લાયક નથી.